છોટાઉદેપુર, સકીલ બલોચ :-
૧૦ સપ્ટેમ્બરને વિશ્વ આત્મહત્યા નિવારણ દિન તરીકે સમગ્ર વિશ્વમાં WHO ઘ્વારા જાહેર કરવામાં આવેલ છે. જે અંતર્ગત બોડેલીની શેઠ ટી.સી.કાપડિયા આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજના ઈતિહાસ વિભાગના અધ્યક્ષ ડૉ. સિદ્ધિબેન મેકવાનના સઘન પ્રયત્નોથી આત્મહત્યા નિવારણ અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે એ હેતુસર વ્યાખ્યાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં મુખ્ય મહેમાન તરીકે સરકારી મોરવાહડફ કૉલેજના સમાજશાસ્ત્ર વિષયના પ્રોફેસર ડૉ. ચેતન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનો આરંભ દીપ પ્રાગટ્ય,પ્રાર્થનાથી કરવામાં આવ્યો હતો.કૉલેજના આચાર્ય ડૉ. હસમુખભાઈ કોરાટ અને ડૉ. સિદ્ધિબહેન મેકવાને આવેલ મહેમાનનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું.ડૉ.ચેતનભાઈ પટેલે આત્મહત્યાનાં કારણો અને નિવારણ અંગે સમાજશાસ્ત્રીય વિશ્લેષણ પર પ્રવચન આપ્યું હતું. આજના યુગમાં ખાસ કરીને યુવાન યુવક-યુવતીઓ નાનાં નાના કારણોને લઈને આત્મહત્યા કરી લેતાં હોય છે.એમને જીવન અભિમુખ બનાવીને કરાતી આત્મહત્યાઓને કેવી કેવી રીતે અટકાવી શકાય?એ આ કાર્યક્રમનો મુળ મુસદ્દો બની રહ્યો હતો.ડૉ.ચેતન પટેલે આત્મહત્યા શબ્દ પર ચોકડી મારતાં કહ્યું હતું કે,આ એક ક્ષણજીવી વિચાર છે. જો એ ક્ષણ પસાર કરી દઈએ તો આ જીવન ખૂબ જ જીવવાલાયક છે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અધ્યાપકો,વિદ્યાર્થીઓ જોડાયાં હતાં.કાર્યક્રમના અંતે કૉલેજના શારીરિક શિક્ષણ વિભાગના વડા સુમનભાઈ રાઠવાએ ડો.ચેતનભાઈ પટેલ સહીત પધારેલ અધ્યાપકો,વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.