ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-
પંચમહાલ જિલ્લામાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પાર્ટીના પ્રચાર પ્રસાર કરી, લોક સંપર્ક કરી લોકોને આમ આદમી પાર્ટીમાં જોડવા માટેની કામગીરી વેગવંતી બનાવી છે.
ગોધરા શહેરના પૂર્વ પ્રમુખ અજય વસંતાનીએ આજ રોજ ગોધરા તાલુકાના વિવિધ ગામોમાં જઈને લોક સંપર્ક કર્યો હતો. લોકોને આમ આદમી પાર્ટી તથા દિલ્હીની કેજરીવાલ સરકારની કામગીરી વિશે માહિતી આપી હતી અને લોકોને પાર્ટીમાં જોડ્યા હતા.
ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા વિધાનસભાની ચૂંટણી માટે વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવાની કાર્યકર્તાઓને સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે ત્યારે પાર્ટીના સંનિષ્ઠ અને નિષ્ઠાવાન કાર્યકરો ગોધરા શહેરના પૂર્વ પ્રમુખ અજય વસંતાની સાથે જિલ્લા સંગઠન મંત્રી દર્શન વ્યાસે આજ રોજ ગોધરા તાલુકાના ગદુકપુર, છીપા, જાફરાબાદ, વાવડી જેવા ગામોમાં જઈને લોક સંપર્ક કર્યો હતો અને પાર્ટીની કામગીરી વિશે લોકોને માહિતગાર કરી ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીની સરકાર ની જરુરીયાત કેમ હોવી જોઈએ તે વિશે લોકોને જણાવ્યું હતું અને વિવિધ ગામોમાંથી સો જેટલા સામાજિક કાર્યકરોને ‘આપ’ માં જોડ્યા હતા. પાર્ટી દ્વારા શરું કરેલ ‘મિસ્ડ કૉલ’ અભિયાનની કામગીરી પણ કરી હતી અને લોકોને મિસ્ડ કૉલ કરાવી પાર્ટીને સમર્થન અપાવ્યું હતું.
પંચમહાલ આમ આદમી પાર્ટીના પૂર્વ જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ આ કામગીરી બદલ કાર્યકરોને બિરદાવ્યા હતા અને અભિનંદન પાઠવ્યા હતા તેમજ નવા જોડાયેલા કાર્યકરોને પણ ટેલિફોનીક શુભેચ્છાઓ પાઠવી હતી અને પાર્ટીમાં આવકાર્યા હતા.