ગોધરા ખાતે મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માનાં અધ્યક્ષસ્થાને સુશાસન સપ્તાહ ઉજવણીનો સમાપન સમારોહ યોજાયો…

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગની યોજનાઓ અંતર્ગત ૪૫.૨૦ કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ, ૧૮.૭૮ કરોડનાં વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત

સમરસ ગ્રામ યોજના અંતર્ગત ૨૧ ગ્રામ પંચાયતોને ૮૮.૭૫ લાખની ચેક સહાય,૧૯૫ સ્વસહાય જુથોને ૫૮ લાખની વ્યક્તિગત સહાયનું વિતરણ

પંચમહાલ જિલ્લામાં ૨૫મી ડિસેમ્બરથી ૩૧મી ડિસેમ્બર સુધી ઉજવાયેલ સુશાસન સપ્તાહ ઉજવણીનાં અંતિમ દિવસે આજે સરદાર નગરખંડ, ગોધરા ખાતે રાજ્યકક્ષાનાં મંત્રીશ્રી કુટીર ઉદ્યોગ, સહકાર, મીઠા ઉદ્યોગ અને પ્રોટોકોલ (સ્વતંત્ર હવાલો), ઉદ્યોગ, વન પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જ, પ્રિન્ટિંગ અને સ્ટેશનરી (રાજ્યકક્ષા)મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માનાં અધ્યક્ષપદે સમાપન સમારોહ યોજાયો હતો.
કાર્યક્રમમાં મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સહિતનાં મહાનુભાવોના હસ્તે પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગની યોજનાઓ હેઠળ ૧૫માં નાણાપંચ અંતર્ગત ૯૪૧.૯૯ લાખના ૫૪૦ વિકાસ કામો, સીડીપી-૫ યોજના અંતર્ગત ૯૨.૦૦ લાખના ૬ નવીન પંચાયત ઘરો, ગ્રામ વિકાસ વિભાગ અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)માં ૩૪૮૬.૦૦ લાખની સહાયથી ૨૯૦૫ આવાસો એમ કુલ મળી ૪૫ કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમ જ મનરેગા યોજના અંતર્ગત ૩૫૪ લાખના ખર્ચે ગ્રામ પંચાયત ઘર તેમજ તલાટી કમ મંત્રી નિવાસ સ્થાન, પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત ૯૦૦ લાખના ખર્ચે ૩૦૦૦ આવાસો, ૧૫મા નાણાપંચ અંતર્ગત ૬૨૪.૩૯ લાખનાં ૪૪૭ કામો એમ કુલ મળી ૧૮.૭૮ કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, સમરસ ગ્રામ યોજના અંતર્ગત ૨૧ ગ્રામ પંચાયતોને ૮૮.૭૫ લાખની ચેક સહાય, ૧૯૫ સ્વસહાય જુથોને ૫૮ લાખની વ્યક્તિગત સહાયનું વિતરણ પણ કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવ્યું હતું. રાજ્ય મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ સહાય મેળવનારા લાભાર્થીઓ સાથે રૂબરૂ સંવાદ કરી યોજના અને અમલીકરણ અંગે તેમના વિચાર, પ્રતિભાવ જાણ્યા હતા. આ પ્રસંગે સંબોધન કરતાં તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે લોકોના કલ્યાણ માટે અનેક યોજનાઓ બનાવી ગુજરાતના દરેક ગામડાનાં દરેક છેવાડાનાં માનવી સુધી આ યોજનાઓનો લાભ પહોંચે તેવો સંકલ્પ લઈ અથાક પ્રયાસોથી આ સંકલ્પ પૂર્ણ કર્યો હતો. ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન સ્વ. શ્રી અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતી નિમિત્તે સુશાસન સપ્તાહની ઉજવણી કરી કરોડો રૂપિયાના લાભો છેવાડાના માનવીને ઘરે બેઠા આપી સરકારે આ સંકલ્પને આગળ વધાર્યો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ લોકોની સુખાકારીમાં વધારો કરવા, જરૂરતમંદોને સહાય કરવા સરકારે 450 કરતા વધુ પ્રકારની જનકલ્યાણ યોજનાઓ અમલી કરી છે. 5 લાખ સુધીની વિનામૂલ્યે સારવારની સુવિધા આપતી પીએમજેએવાય-મા કાર્ડ યોજનાના લાભો વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે સરકારે બાળકો, મહિલાઓ, દિવ્યાંગો સહિત સામાન્ય જનોનાં પોષણ-આરોગ્ય, શિક્ષણ, રોજગારી, મકાન સહિતની બાબતોની ચિંતા કરી સહાય યોજનાઓ અમલમાં મૂકી છે. લાભાર્થીઓને કોઈ વચેટિયા વગર સહાયનાં પૈસા પૂરેપૂરા મળે તે માટે કરોડોની સંખ્યામાં જનધન ખાતા ખોલાવી ડીબીટી મારફતે સહાય સીધી તેમનાં ખાતામાં પહોંચતી કરી છે. મંત્રીશ્રીએ સહાય મેળવનાર સખી મંડળની મહિલાઓ સાથે સંવાદ કરી તેમણે સરકારની સહાયની મદદથી કઈ રીતે વિકાસ સાધ્યો તે અંગે વિગતવાર માહિતી મેળવી હતી અને અન્ય મહિલાઓને પણ આ રીતે પગભર થવા અંગે માર્ગદર્શન અને મદદ આપવા આ લાભાર્થીઓને અનુરોધ કર્યો હતો. સમરસ બનેલી ગ્રામ પંચાયતોનાં સરપંચોને આર્થિક લાભોનું વિતરણ કરતા તેમણે બધાનો સાથ-સહકાર મેળવી ગામનાં જરૂરતમંદો સુધી તેમને લાગતી વળગતી યોજનાઓની જાણકારી પહોંચાડવા અને લાભ મેળવવામાં મદદરૂપ થવા અને તે રીતે ગામનો સર્વાંગી વિકાસ કરવા જણાવ્યું હતું.
વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઇ ભરવાડે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું છેવાડાનાં દરેક માનવીનું જીવનધોરણ સુધરે તેને વિકાસ સાધવા માટે જરૂરી મદદ ન્યાયી રીતે ઝડપથી અને સમાન રીતે મળી રહે તે જ સાચુ સુશાસન. યોજનાઓનો લાભ લેવા જરૂરી દસ્તાવેજોની સંખ્યા ઘટાડવા સહિતનાં પગલા લઈ લાભ લેવાની પ્રક્રિયા વધુ ઝડપી અને સરળ બનાવવા માટે સરકાર નક્કર પગલા લઈ રહી છે તેમ ઉપાધ્યક્ષશ્રીએ ઉમેર્યું હતું. ખેડૂતોનાં સમર્થક હોવાનો દાવો કરી કૃષિ કલ્યાણ માટે સરકારે લીધેલા પગલાઓનો વિરોધ કરી ખેડૂતોનો વિકાસ અટકાવનાર તત્વો હોવા છતા સરકાર ભૂમિપુત્રોનાં કલ્યાણ અર્થે સતત કાર્યરત રહેશે. આ પ્રસંગે પંચમહાલ જિલ્લા સાંસદશ્રી રતનસિંહ રાઠોડ અને ગોધરાનાં ધારાસભ્યશ્રી સી.કે.રાઉલજીએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખસુશ્રી કામિનીબેન સોલંકી, કાલોલનાં ધારાસભ્યસુશ્રી સુમનબેન ચૌહાણ, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી અશ્વિનભાઈ પટેલ, જિલ્લા પંચાયત-તાલુકા પંચાયતનાં પદાધિકારીશ્રીઓ, ઈન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્જુનસિંહ બી. રાઠોડ, ડીઆરડીએ ડાયરેક્ટરશ્રી એસ. તબિયાર, ડેપ્યુટી ડીડીઓશ્રી સૂર્યવંશી સહિતનાં વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here