કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા
કાલોલ તાલુકાના વરવાળા પંચાયતમાં આવેલા વાંટા ગામના પ્રવિણભાઈ અરખમભાઈ બારીયા(ઉ.વ, ૪૨)એ પાંચ વર્ષ અગાઉ ગામના એક નાગરિકની પત્ની સવિતાને ગામમાંથી ભગાડીને લઈ જતા અંતે તેમના સમાજના રીતરિવાજ મુજબ સમાધાન કરી સવિતાને પ્રવિણભાઈ બારીયાને સોંપી હતી. જે અંગે ગામ લોકોના જણાવ્યા મુજબ સવિતાનું અગાઉ પણ લગ્ન થયું હતું જેથી પ્રવિણ બારીયા તેનો ત્રીજો પતિ બન્યો હતો. જોકે પાછલા ચાર-પાંચ વર્ષથી બંને પતિ પત્ની ખેતીકામ કરી ગુજરાન ચલાવતા હતા પરંતુ લગ્નના આટલા સમય સુધી તેમના સંસારમાં સંતાનની ખોટ હતી. તદ્ઉપરાંત સવિતાને ગામના કોઈ સોમા કાભઇ સાથે સબંધ હોવાનો વહેમ પ્રવિણને જતા પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા રહેતા હતા. જે મધ્યે રવિવારે ગોધરાથી ડાંગરનો પાક જોવા વરવાળા આવેલા કાકાની ફરિયાદની વિગતો મુજબ રવિવારે બપોરે તેઓ તેમના ઘેર હતા એ સમયે મોબાઇલ પર ફોન આવ્યો હતો કે તેમના ભત્રીજા પ્રવીણને સવિતા સાથે ઝગડો થતા સવિતાએ લાકડીથી પ્રવિણને માર મારતા બેભાન પડ્યો હોવાનું જાણવા મળતા તેમને ઘટના સ્થળે દોડી જતા પ્રવિણ પ્રવિણ બેભાન અવસ્થામાં કણસતો પડ્યો હતો અને તેના ગુપ્તાંગમાંથી પણ લોહી નિકળતું હોવાનું જોવા મળ્યું હતું. જેથી કાકાએ તાત્કાલિક અસરથી બપોરે પોણા ત્રણ વાગ્યાના સુમારે ૧૦૮ બોલાવવા માટે ફોન કર્યો હતો પરંતુ ૧૦૮ આવે તે પહેલાં પ્રવિણનું પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું. જેથી કાકાએ પોતાના ભત્રીજાને મોતને ઘાટ ઉતારી દેનાર પત્ની સવિતાના કરતુત અંગે કાલોલ પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી એફએસએલની તપાસ હાથ ધરી જરૂરી પંચકયાસ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કાલોલ રેફરલ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. કાલોલ પોલીસે કાકાની ફરિયાદ મુજબ પ્રવિણને ગુપ્તાંગના ભાગે લાકડાથી બેરહેમ અને ક્રુરતાપુર્વક ફટકા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતારી દેનાર સવિતા વિરુદ્ધ ગુનો દાખલ કરી ઘટના સ્થળેથી સવિતાની અટકાયત કરી કોરોના ટેસ્ટ માટે કોરોના હોસ્પિટલમાં મોકલી આપી આગળની તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.