કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-
વ્યાસડા ગામના રાજપૂત યુવાનોએ ગામની રાજપૂત અસ્મિતા સમાન બલિદાન આપનાર પૂર્વજોના પાળિયાઓનું પૂજન કરી કૃતજ્ઞતા વ્યક્ત કરી
કાલોલ તાલુકામાં વ્યાસડા ગામ પાંચસો-છસો વર્ષથી પરમારવંશીય મેવાસી ગરાશદારનો દરજ્જો ભોગવતા હોવાનો ઈતિહાસ ધરાવે છે. જેથી વ્યાસડા ગામના રાજપૂત ગરાશદારની શાન મુજબ રાજપુત પરંપરાના મહિમાસભર વિજયાદશમી મહાપર્વની ઉજવણી ગામના નવનિર્મિત કુળદેવી હરસિદ્ધિમાતાના મંદિર ખાતે પરંપરાગત શસ્ત્રપુજન કરીને રાજપૂત સમાજની ગરિમાને વધાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વ્યાસડા ગામના વડવાઓના જણાવ્યા અનુસાર પંદરમી-સોળમી સદીમાં મોહમ્મદ બેગડાએ ચાંપાનેર (પાવાગઢ) જીત્યા પછીના શાસનકાળ દરમિયાન સૈનિકોની લુંટફાટ અને રંજાડ વધતા તત્કાલીન સમયે ગામના પુર્વજોએ ગામના રક્ષણ માટે હથિયાર ધારણ કરીને રંજાડ સામે બાથ ભીડતા હતા એ સમયે ગામ રક્ષણના સમરાંગણમાં લડતા લડતા શહીદ થયેલા પુર્વજોના પાળિયાઓનું અને રાજપૂત પરંપરા મુજબના શમીના વૃક્ષનું પણ નવી પેઢીના રાજપૂત યુવાનોએ પુજન કરી પુર્વજોની કૃતજ્ઞતા વ્યકત કરી હતી.