એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ ૨૦૨૩ને અનુલક્ષીને “સ્વચ્છતા હી સેવા” ઝુંબેશ વેગવાન બની

એકતાનગર, (નર્મદા) આશિક પઠાણ :-

સ્વચ્છતાને જીવનશૈલીનો ભાગ બનાવવા જિલ્લાના નાગરિકોને અનુરોધ કરતા નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ

એકતાનગરના મુખ્યબજાર-રામચોક વિસ્તારના રસ્તાની આસપાસ યોજાયેલી સ્વચ્છતા ડ્રાઈવમાં જિલ્લા-તાલુકાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, અધિકારીઓ પણ ઝાડુ પકડી સ્વચ્છતાના કાર્યક્રમમાં સહભાગી બન્યા

સ્વચ્છ ભારત મિશન માત્ર સરકારની યોજના જ નહીં પરંતુ નાગરિકોની જીવનશૈલીમાં આમુલ પરિવર્તન લાવવા માટેનો સિધ્ધાંત છે. પૂજ્ય ગાંધીજીએ જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતાના અપાયેલા મંત્રને વેગ આપવા વર્ષ ૨૦૧૪ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલું સ્વચ્છ ભારત મિશન જનભાગીદારીથી આજે જનઆંદોલનમાં પરિણમ્યું છે. ત્યારે એકતાનગર ખાતે 31મી ઓક્ટોબરે યોજાનાર રાષ્ટ્રીય એકતા પરેડ દિવસની ઉજવણીના ભાગરૂપે આજે નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં એકતાનગર-રામચોક-વીર ભગતસિંહ પ્રાથમિક શાળા, મુખ્ય બજારના રસ્તાઓ અને આસપાસના વિસ્તાર ખાતે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. જેમાં ગ્રામજનો પણ જોડાયા હતા.

નર્મદા જિલ્લાને સ્વચ્છ અને કચરા મુક્ત બનાવવા માટે નર્મદા જિલ્લા વહીવટીતંત્ર સહિત તમામ નાગરિકો સંકલ્પબદ્ધ બન્યા છે. સરકારી કચેરીઓના અધિકારી-કર્મચારીઓ, જિલ્લાના ચૂંટાયેલા જનપ્રતિનિધિશ્રીઓ તેમજ નાગરિકોની સ્વૈચ્છિકતા અને શ્રમદાનની ભાવનાથી જિલ્લામાં “સ્વચ્છતા હી સેવા ઝુંબેશ”ને સફળ બનાવી છે. નાગરિકોમાં સ્વચ્છતાની ભાવના કેળવાય તે માટે ગ્રામજનો સ્વંય જાહેર સ્થળો, પર્યટક સ્થળો, પંચાયત ઘર, પ્રાથમિક શાળા, આંગણવાડી કેન્દ્ર, આરોગ્ય કેન્દ્ર સહિતની સાફ-સફાઈ કરીને અન્ય ગ્રામજનોને સ્વચ્છતાનો સંદેશ આપ્યો છે.

પર્યટન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે સ્થાનિક ગ્રામજનો, સફાઈકર્મીઓ તમામ મહત્પૂર્ણ જગ્યાઓ પર સ્વચ્છતા સર્વોપરીના મંત્ર સાથે સ્વચ્છતા ડ્રાઈવનું આયોજન કરીને તેમજ ગ્રામજનોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવા માટે જિલ્લા-તાલુકાના જનપ્રતિનિધ ઓએ પોતે મુખ્ય બજાર, જાહેર માર્ગ, પર સાવરણીથી સફાઈ ઝુંબેશમાં જોડાયા હતા.

આ પ્રસંગે નાંદોદના ધારાસભ્ય શ્રીમતી ડો. દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ મોદીના નેતૃત્વમાં શરૂ થયેલી સફાઈ ઝંબેશમાં દેશભરનાં લોકો સ્વયંભૂ જોડાઈ રહ્યા છે. ત્યારે આજે એકતાનગર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં નાગરિકો સ્વયંભૂ જોડાયા છે. સ્વચ્છતા પ્રત્યે લોકોમાં પણ અનોખી જાગૃતિ જોવા મળી રહી છે. એકતાનગરની આસપાસના 10 ગામોમાં આ સફાઈ ઝુંબેશને વેગવાન બનાવવામાં આવશે અને રાત્રિસભા અને સફાઈ ઝંબેશ હાથ ધરવામાં આવશે. ખાસ કરીને મહિલા અને બાળકોના સ્વાસ્થ્ય માટે સ્વચ્છતા અતિમહત્વની છે. બાળકોનો સ્વચ્છ વાતાવરણમાં ઉછેર કરવામાં આવે તો તેની સકારાત્મક અસર બાળકની માનસિકતા પર પડે છે. પોતાના ઘર અને આંગણની સફાઈ સાથે ગામની પ્રત્યેક મિલકતના રખરખાવ, જાળવણી તેમજ સાફસફાઈ કરવાની જવાબદારી પણ આપણી છે. ડો. દેશમુખે અનેકવિધ સ્વચ્છતાલક્ષી પાસાઓની ઝીણવટપૂર્ણ માહિતીથી વાકેફ કરીને સ્વચ્છતાને જીવનશૈલીનો કાયમી ભાગ બનાવવા જિલ્લાના સૌ નાગરિકોને અનુરોધ કર્યો હતો.

આ સ્વચ્છતા ઝુંબેશમાં દૂધધારા ડેરીના ચેરમેન અને ધારીખેડા સુગર ફેક્ટીરીના ચેરમેન અને નર્મદા જીલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યાભાઈ પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય દિનેશભાઈ તડવી, ગરૂડેશ્વર તાલુકા પંચાયત પ્રમુખ માકતાભાઈ વસાવા, સ્ટેચ્યૂ ઓફ યુનિટીના અધિક કલેક્ટર ગોપાલ બામણીયા, જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામક જે.કે.જાદવ, ગરૂડેશ્વર તાલુકા વિકાસ અધિકારી રવચંદ રાઠવા, તિલકવાડા તાલુકા વિકાસ અધિકારી જે.કે.જાસોલિયા સહિત જિલ્લા-તાલુકાના અગ્રણીઓ, ચૂંટાયેલા સભ્યો, સરપંચ સહિત ગ્રામજનો સફાઈ અભિયાનમાં જોડાયા હતા અને એક જાગૃતિ રેલી પણ કાઢવામા આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here