છોટાઉદેપુર, ચારણ એસ વી :-
અસંગઠીત અને સ્થળાંતરિત શ્રમિકો માટે સરકારશ્રી દ્વારા વેબ પોર્ટલ પર ઈ-શ્રમ કાર્ડ કાઢવા માટે જોગવાઈ કરવામાં આવેલ. આવા ઈ-શ્રમ પોર્ટલ પર નોંધાયેલા શ્રમિક લાભાર્થીઓને રેશનકાર્ડ આપવા તથા પાત્રતા ધરાવતા શ્રમિકોને રાષ્ટ્રીય અન્ન
સલામતી કાયદા-૨૦૧૩ હેઠળ સમાવેશ કરી જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ અનાજ વિતરણનો લાભ આપવા બાબત અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગની જીલ્લા પુરવઠા અધિકારીશ્રીની કચેરી દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે. આ યાદી પ્રમાણે જે શ્રમિકોએ ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરાવેલ હોય અને રેશનકાર્ડ ન ધરાવતા હોય તો આપના જિલ્લાની નજીકની મામલતદાર કચેરી કે ઝોનલ ઓફીસનો સંપર્ક કરી રેશનકાર્ડ કઢાવવા વિનંતી છે. ઈ-શ્રમ પોર્ટલ પર નોંધાયેલ હોય તેવા અસંગઠિત કે સ્થળાંતરિત શ્રમિકો જેવા કે બાંધકામ ક્ષેત્ર, ખેતી, મનરેગા, ફેરિયાઓ, ઘરેલું કામદાર, સાગર ખેડુઓ, રિક્ષા ડ્રાઈવર, દૂધ મંડળીઓના સભ્યો જેવા અસંગઠિત ક્ષેત્રે કામ કરતા શ્રમિકો કે જેની પાસે રેશનકાર્ડ છે પરંતુ, રાહત દરે મળતા રેશનની યોજનાના લાભથી વંચિત હોય તેવા અસંગઠિત શ્રમિકો પૈકી પાત્રતા ધરાવતા શ્રમિકોને NFSA હેઠળ સમાવેશ કરવા માટે ઝુંબેશ ચાલી રહી છે. છોટાઉદેપુર જિલ્લાના લાભાર્થીઓ મામલતદાર કચેરીનો સંપર્ક કરી અરજી કરવા સુચન છે. આ બાબતે વધુ વિગત મેળવવા આપ માય રેશન મોબાઈલ એપ પરથી, વેબસાઈટ પરથી કે તોલ ફ્રી નં. ૧૮૦૦ -૨૩૩-૫૫૦૦, ૧૯૬૭,૧૪૪૪૫ પર સંપર્ક કરી શકો છો.