રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ
ધો 7 ના પાઠ્ય પુસ્તકમાથી વનવાસી શબ્દનો પ્રયોગ દુર કરવા CM ને છોટુભાઈ વસાવાનો પત્ર
ભરૂચ જિલ્લાના ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવા સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર સરોવર ડેમના આદિવાસીઓ સહિત દેશના આદિવાસીઓ માટે છેલ્લા કેટલાય સમયથી લડત લડી રહ્યા છે. ત્યારે ફરી એકવાર આદિવાસીઓના મામલે તેમના હક્ક અને બંધારણીય શબ્દ પ્રયોગને લઇને રાજય સરકાર સામે મેદાનમાં આવ્યા છે. ગુજરાત રાજય પાઠ્ય પુસ્તક મંડળ ગાંધીનગર દ્વારા ધોરણ 7 ની સમાજવિદ્યા વિષયનું નવું પુસ્તક બહાર પાડવામા આવ્યુ છે. તેમાં “વનવાસી” શબ્દનો ઉપયોગ કરેલ છે. એ મામલે આદિવાસી નેતાઓએ સીએમ રૂપાણીને ફરિયાદ કરી “વનવાસી” ની જગ્યાએ આદિવાસી શબ્દનો પ્રયોગ કરવા રજૂઆત કરી છે.
આ અંગે છોટુભાઈ વસાવાના જણાવ્યા મુજબ, બંધારણમાં આદિવાસીઓ માટે મૂળ નિવાસી પ્રયોજન છે. કેટલાક લોકો દ્વારા આદિવાસી શબ્દની જગ્યાએ વનવાસી શબ્દ પયોગ કરવાની શરૂઆત કરાઈ છે, જે ખરેખર આદીવાસીઓના બંધારણીય હિતોને નુક્સાન કારક છે. વનવાસી શબ્દનું ખોટું અર્થઘટન કરી આદિવાસીઓના બંધારણીય હકોને હસ્તાન્તરણ કરવાનું ષડ્યંત્ર ચલાવાઈ રહ્યું હોવાનું ગંભીર આરોપ તેઓએ સરકાર ઉપર લગાવેલ છે . આવા શબ્દપ્રયોગ રાજ્યની શાંતિ અને સલામતી માટે પડકાર રૂપ બને, સંઘર્ષના સ્વરૂપનું નિર્માણ ન થાય એ માટે આદિવાસી શબ્દને બદલે વનવાસી શબ્દપ્રયોગને નાબૂદ કરવા યોગ્ય કાર્યવાહી થાય એવી માંગ સાથેનો પત્ર ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને લખેલ છે.
હવે જોવાનું રહયુ કે રાજય સરકાર આ મામલે શુ કરે છે , પાઠ્યપુસ્તક માથી વનવાસી શબ્દ પ્રયોગ દુર કરે છે કે પછી આદિવાસી નેતાઓને પોતાની સામે વિરોધ કરવાનો મોકો આપે છે.
MLA છોટુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે વનવાસી” નામ એક જૂથ દ્વારા પોતાનું વિદેશી મૂળ અને કુળ છુપાવવાના સ્વાર્થી હેતુથી આપવામાં આવેલું નામ છે. “વનવાસી” નામથી આદિવાસીઓ ભારતના મૂળ તેમજ માલિક હોવાનું લક્ષણ છુપાવવાનો ઇરાદો સ્પષ્ટ થાય છે.“વનવાસી” નામકરણ રાજકારણ પ્રેરિત રાજકીય રમતનો ભાગ છે જેના આદિવાસી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડવાની શક્યતા છે.વનવાસી શબ્દ લખતા આદિવાસી સમાજની લાગણી દૂભાતી હોય તેં પ્રકરણમાં “વનવાસી” શબ્દને દૂર કરી આદિવાસી શબ્દ મુકવામાં આવે એવી ગુજરાતનાં સમગ્ર આદિવાસી સમાજની માંગ છે.