અદાણી ફાઉન્ડેશન દ્વારા નર્મદા જિલ્લા જીલ્લામાં ‘પોષણ પખવાડાની ઉત્સાહભેર ઉજવણી ‘હર ઘર સુપોષણ, દેશ કા નામ રોશન’

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

શ્રેષ્ઠ ભારત માટે સ્વસ્થ ભારત એવા ઉમદા આશયથી અદાણી ફાઉન્ડેશન અવિરત કાર્યરત છે. તાજેતરમાં ગુજરાતના નર્મદા જિલ્લામાં પોષણ પખવાડિયાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. સુપોષણ પ્રોજ્ક્ટ હેઠળ જિલ્લાના 450 ગામોની મહિલાઓ અને બાળકો માટે અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી. આહાર-વ્યહવારને ઔષધ બનાવી તંદુરસ્તી વધારતી ઝુંબેશમાં 25000થી વધુ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો.

‘સ્વસ્થ ભારત માટે સુપોષણ’ થીમને લક્ષ્યમાં રાખી મહત્તમ લોકો જાગૃત બને એવો પોષણ પખવાડાનો મુખ્ય ઉદ્દેશ છે. સરકારની ICDS યોજનાને સાંકળતા પખવાડા અંતર્ગત આયોજીત કાર્યક્રમોમાં પોષણ રેલી, સમુહ ચર્ચા, કુટુંબ પરામર્શ, ધાન્યમાંથી બનાવેલી વિવિધ વાનગીઓનું પ્રદર્શન, સ્વસ્થતા અંગેની સ્પર્ધાઓ, તંદુરસ્ત બાળક હરીફાઈ, પોષણ વાટિકા, શાળામાં ચિત્ર સ્પર્ધા, પ્રશ્નોત્તરી, હેલ્થ કેમ્પ વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું.

કુપોષણ મુક્ત ભારત માટે વ્યક્તિગત અને સામુદાયિક વ્યવહાર પરિવર્તન માટે વિશેષ ભાર મુકવામાં આવ્યો. જેમાં Take Home Ration (THR) હેઠળ પોષણયુક્ત વાનગીઓ બનાવવી, વ્યક્તિગત સ્વચ્છતા, બાળ ઉછેર અને સંભાળ, સમતોલ અને પોષણયુક્ત આહાર, કુપોષણ અટકાવવાના ઉપાયો વગેરેની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.

વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે ત્યારે પોષણ પખવાડામાં જાડા ધાન્યને વધુ લોકપ્રિય બનાવવાના આયોજનો કરવામાં આવ્યા. જેમાં 2000 જેટલી મહિલાઓને બાજરો, જુવાર, સામો, રાગી અને કોદરીની વાનગીઓ બનાવતા શીખવાડવામાં આવી જે પૈકી 350 જેટલી વાનગીઓ પ્રદર્શિત કરવામાં આવી.
કુપોષણની સમસ્યાને સરકાર સહિત સંસ્થાઓ અને સમુદાયના સંકલનથી જ નાબૂદ કરી શકાશે. મહિલાઓમાં એનિમિયાનું પ્રમાણ ઘટાડવા કિશોરી અવસ્થામાં માર્ગદર્શન આપવામાં આવે છે. તેના માટે સંગીની બહેનો જીવન ચક્ર અભિગમથી કુપોષણ નાબૂદી માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. એટલું જ નહીં, ગર્ભાવસ્થા દરમિયાન અને પ્રસૂતિ બાદ વિવિધ રચનાત્મક કાર્યક્રમોની પહેલ કરવામાં આવી છે.

સરકાર સહિત સમુદાય તથા અદાણી ફાઉન્ડેશનની 245 જેટલી ટીમો કુપોષણ નાબુદી માટે સઘન કામગીરી કરી રહી છે. 2018થી અદાણી ફાઉન્ડેશન અને અદાણી વિલમરના સંયુક્ત ઉપક્રમે નર્મદા જિલ્લામાં સુપોષણ અભિયાન ચલાવાઈ રહ્યું છે. જેનો મુખ્ય હેતુ ગ્રામીણ વિસ્તારના બાળકો, કિશોરીઓ અને માતાઓના સ્વાસ્થ્ય અને પોષણ સ્તરમાં નખશીખ સુધારો લાવવાનો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here