કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-
કાલોલ તાલુકાના ઘોડા ગામના એક ખેડૂતના ખેતરમાં બુધવારે જી.એસ.એફ.સી (સરદાર) દ્વારા ખેડૂતો સાથે પાક નિદર્શન સભાનું આયોજન કરીને તાલુકાના ખેડૂતો સાથે સરદાર સલ્ફર ખાતરના માર્ગદર્શન વિશે વાર્તાલાપ કર્યો હતો. ઘોડા ગામના ખેડૂત પુનમભાઈ રમેશભાઈ પટેલના ખેતરમાં કપાસના પાક ઉત્પાદનમાં સરદાર બ્રાન્ડના સલ્ફરનું મહત્વ અને તેનાથી થતા ફાયદા અંગે સમજાવવા માટે કંપની તંત્ર દ્વારા પાક નિર્દેશન સભાનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ નિદર્શન કાર્યક્રમમાં જી.એસ.એફ.સી કંપનીના સમગ્ર ભારતના માર્કેટિંગ હેડ સીનિયર વાઈસ પ્રેસીડેન્ટ એસ.વી. વર્માએ પાક ઉત્પાદનમાં પોષક તત્વોના સમન્વયથી બનેલા સલ્ફેટ ખાતરના ઉપયોગ બાબતે જાણકારી આપી હતી.
ગુજરાતના ઝોનલ મેનેજર એમ.એમ.મેહતાએ વિવિધ પાકોમાં જરૂરી પોષક તત્વો વાપરવાની રીત અને સરવાળે કઈ રીતે સસ્તું પડે એ બાબતે જાણકારી આપી હતી, ખેતી વૈજ્ઞાનિક જી.ડી હડિયાએ કપાસના પાકની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વિશે માહિતી આપી હતી. જ્યારે વેજલપુર સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્રના હેડ ર્ડા. કનકલતાએ ખેડૂતોને સલ્ફરયુકત ખાતરને ઓલરાઉન્ડર ખાતર ગણાવીને એમોનીયમ સલ્ફેટ અને એપીએસ ખાતર વાપરવા ખાસ ભાર મુકયો હતો.
અત્રે પાક નિદર્શન સભામાં આવેલ આમંત્રીત ખેડૂતોએ પાક નિદર્શન પ્લોટની પણ રૂબરૂ મુલાકાત લઈને કપાસના પાક પર સલ્ફર યુકત ખાતરની અસર નિહાળી પોતાના ખેતરમાં પણ સલ્ફર યુકત ખાતરનો ઉપયોગ કરવા ઉત્સાહ દર્શાવ્યો હતો. જી.એસ.એફ.સી.કંપનીના પ્રતિનિધિ ચીરાગભાઈ ગીનોયાએ ઉપસ્થતિ મહેમાનો અને ખેડૂતોનો આભાર વ્યક્ત કર્યો હતો.