કાલોલ(પંચમહાલ),
મુસ્તુફા મિર્ઝા
ચાલુ વર્ષે કોરોના મહામારીને કારણે વહીવટી તંત્ર દ્વારા શ્રાવણ માસના તમામ તહેવારો મેળાઓ, ધાર્મિક કાર્યક્રમો આ ઉપરાંત ત્યારબાદ આવતા ગણપતિ ઉત્સવ, મોહરમમાં ભીડ એકત્રિત ન થાય તે માટે શોભાયાત્રા, ઝુલુસ કાઢવા પર પ્રતિબંધ મૂકેલો છે. હાલમાં કાલોલ ખાતે ગણપતિ ઉત્સવનો નવમો દિવસ ચાલી રહ્યો છે દર વર્ષની જેમ યુવક મંડળો દ્વારા જે ઉત્સાહથી સાંસ્કૃતિક કાર્યક્રમો, ધાર્મિક કાર્યક્રમો યોજાય છે તે પ્રતિબંધને કારણે લગભગ સંપૂર્ણ બંધ છે. કેટલાક યુવક મંડળો દ્વારા પ્રતિબંધને કારણે પોતાના ઘરે, ઓફિસમાં, મંદિરોમાં ઇકો ફ્રેન્ડલી અને માટીની ગણપતિ દાદાની મૂર્તિ નીવસ્થાપના કરેલી છે. ત્યારે કાછીયાવાડ યુવક મંડળ દ્વારા ગણપતિ દાદાની મનમોહક અને નયનરમ્ય મૂર્તિની સ્થાપના ફળિયામાં આવેલા સ્વામીનારાયણ મંદિરમાં કરવામાં આવી છે, શનિવારે સાંજે ગણપતિ દાદાને વિવિધ જાતના ફળોનો મનોરથ ધરાવાયો હતો, ફળિયાના શ્રદ્ધાળુઓએ સોશિયલ ડિસ્ટન્સનું પાલનકરીને દર્શનનો લાભ લીધો હતો. દર વર્ષે આ યુવક મંડળ દ્વારા ભવ્ય રીતે ગણપતિ ઉત્સવ ઉજવાય છે અને દાદાને અન્નકૂટ ધરાવવામાં આવે છે પરંતુ સરકારી ગાઈડ લાઈન મુજબ ઉત્સવો ઉજવવામાં આવતા હોવાથી ચાલુ વર્ષે ગણપતિ ઉત્સવ નો માહોલ જામતો નથી.