ગોધરા(પંચમહાલ)
પંચમહાલ જિલ્લાના યોગ ટ્રેનિંગ પૂર્ણ કરનારા કુલ ૨૦ યોગ કોચ અને યોગ ટ્રેઈનર્સને ગોધરાના ધારાસભ્યશ્રી સી.કે. રાઉલજી અને કાલોલના ધારાસભ્યસુશ્રી સુમનબેન ચૌહાણના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. બાળકો અને યુવાનોમાં યોગની પ્રવૃતિઓને વેગ મળે અને જન જન સુધી યોગનો પ્રચાર પ્રસાર થાય તે માટે વર્ષ ૨૦૧૯થી “ગુજરાત યોગ બોર્ડ” ની રચના કરવામાં આવી છે. ભારતીય સંસ્કૃતિની દેન યોગને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે ગુજરાત રાજય યોગ બોર્ડ સતત કાર્યશીલ છે. જે અંતર્ગત ગુજરાત રાજય યોગ બોર્ડ દ્રારા સમગ્ર રાજ્યમાં કુલ ૧૨૬ યોગ કોચને તાલીમ આપવામાં આવી હતી. તાલીમ પામેલ યોગ કોચ દ્રારા સમગ્ર રાજય માંથી ૫૦૦૦ થી વધુ યોગ ટ્રેનરોને તૈયાર કરવામાં આવ્યા છે.
જે પૈકી પંચમહાલ જિલ્લાના ૬ યોગ કોચ દ્વારા ૧૪ યોગ ટ્રેનરોને તાલીમ પ્રદાન કરવામાં આવી હતી. જે અંતર્ગત જિલ્લાના યોગ કોચ અને ટ્રેનરોને પંચમહાલ કલેકટર કચેરી ખાતે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ સર્વે ને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટરશ્રી એલ.બી. બાંભણિયા, જિલ્લા રમત-ગમત અધિકારીશ્રી પ્રકાશ કલાસવા ઉપસ્થિત રહ્યા હતા.