છોટાઉદેપુર, ચારણ એસ વી :-
ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા સંચાલિત વિચરતી અને વિમુક્ત જાતિઓના કલ્યાણ માટેનું બોર્ડ અને જીલ્લા સમાજ કલ્યાણ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે આજરોજ છોટાઉદેપુર સર્કીટ હાઉસ ખાતે બોર્ડના સિનયર મેમ્બર શ્રી ભરતભાઈ પટણીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રાંત અધિકારી શ્રી વિમલ ચક્રવર્તી, સમાજ કલ્યાણ આધિકારી શ્રી આર.સી પ્રજાપતિ, સમાજના આગેવાનો, ઝોન અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચામઠા, પૂર્વ પ્રમુખ શ્રી ભરતભાઈ સલાટ, ચીટનીશ ટુ કલેકટર શ્રી કે.પી દવે વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિચરતી અને વિમુક્ત જાતિના લોકોનું ભારતના સાંસ્કૃતિક વારસા, સ્વાતંત્ર્ય સંગ્રામ અને આપણી અમુલ્ય
વિરાસતને બનાવવામાં ખુબ મોટું યોગદાન છે. ગુજરાતમાં ૨૮ વિચરતી અને ૧૨ વિમુક્ત જાતિઓના લોકો રહે છે. આ જાતિના લોકોએ શહાદત વહોરી છે, અંગ્રેજો સામે ગેરીલા પદ્ધતિથી યુદ્ધ ખેલ્યા છે, પરિવહન, શ્રમદાન, કળા કારીગરી, નટ- નાટિકા જેવા કાર્યો દ્વારા આ જાતિએ આપણા દેશના વિકાસમાં ફાળો આપ્યો છે. આ સમાજમાં નટ, બજાણીયા, મદારી, વાઘરી, વણજારા, દેવીપુજક,વાદી સમાજ, શીકલીગર, સલાટ વગેરે જ્ઞાતિઓનો સમાવેશ થાય છે. આ સમાજ ભારતની મુખ્ય ધારામાંથી દૂર ન થાય તે માટે સરકાર પ્રયત્નશીલ છે, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય હેઠળ બનાવેલા આ બોર્ડ આ દ્વારા સમાજના ઉત્થાન માટે કાર્ય કરી રહ્યા છીએ. આ બાબતે આ બોર્ડના સીનીયર અધ્યક્ષ ભરતભાઈ પટણીએ જણાવ્યું હતું કે વિચરતી અને વિમુક્ત જાતિઓના લોકો તારલાઓ છે અને મારા હૃદયમાં વસે છે. સૌરાષ્ટ્રમાં મદારી કોમ્યુનીટી માટે ૧૦૦ સેટલમેન્ટ કોલોની બનાવી છે. આ સમાજના લોકો રૂઢીવાદ, કુરિવાજ, વ્યસનોમાંથી બહાર નીકળી અને બાળકોને શિક્ષિત કરે. તેમણે સરકારના કામને બિરદાવતા કહ્યું હતુકે સરકારે ‘હર હાથ કો કામ, હર હાથ કો દામ’ના સંકલ્પ સાથે સૌને રોજગારી આપી છે, ચોખ્ખું પાણી, સ્વાસ્થ્ય, શિક્ષણ, સામાજિક ન્યાય, સ્કીલ ડેવલેપમેન્ટમાં આપણને તકો આપી છે આ તકનો લાભ લોકોને લેવા અનુરોધ કર્યો છે. આ તકે પ્રાંત અધિકારી અને સમાજ સુરક્ષા અધિકારીએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું અને બેઠકના અધ્યક્ષ ભરતભાઈ પટણીનો આભાર વ્યક્ત કર્યો હતો.