સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના ટેન્ટસીટી નંબર – ૧ માં લલ્લુજી એન્ડ સન્સ કંપની દ્વારા ગૌચરની જમીનમાં કરાયેલ અનઅધિકૃત કબજો અને નવા બાંધકામને તાત્કાલિક દૂર કરવા ગરૂડેશ્વર મામલતદારની નોટીસ

કેવડિયા કોલોની,(નર્મદા) આશિક પઠાણ :-

વન વિભાગે પણ અગાઉ નોટિસ ફટકારી ટેન્ટસીટી નો મામલો બિચકયો

નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકા મામલતદારશ્રી તરફથી કેવડીયા કોલોનીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે લલ્લુજી એન્ડ સન્સ કંપની દ્રારા ટેન્ટસીટી-૧ માં સરકારી ગૌચરણની જમીનમાં વધુ ટેન્ટ, સ્વિમિંગ પૂલનો ડેક, ટેન્ટ સીટી-૧ ના માં મુખ્ય દ્વારની સામેના ભાગમાં આવેલ જંગલ વિભાગ હસ્તકની જમીનમાં પાર્કીંગ વગેરે જેવા દબાણ કરીને ટેન્ટસીટી-૧ માં નવા શરૂ કરાયેલા બાંધકામ વગેરેને તાત્કાલિક દૂર કરવા માટે તા. ૨૭ મી મે, ૨૦૨૧ ના રોજ મુંબઇ જમીન મહેસૂલી નિયમ-૧૮૭૯ ની કલમ-૬૧,૭૯ એ (એ) મુજબની નોટીસની બજવણી કરીને તાત્કાલિક તેમના ખર્ચે અને જોખમે ઉકત અનઅધિકૃત કબજો દૂર કરવાનો હૂકમ કર્યો છે.

ઉક્ત નોટીસમાં જણાવ્યાં મુજબ મોજે-ખલવાણી તા.ગરૂડેશ્વરના સર્વે ૮૫-અની હે. ૨૦-૫૮-૦૫ ચો.મી. સરકારી પડતર પૈકી હે. ૨-૦૦-૦૦ જમીન ગૌચર સદરે નીમ કરી. સર્વે નં. ૮૫-બ ની હે.૭-૦૮-૨૦ પૈકી હે ૨-૦૦-૦૦ જમીન ગુજરાત જમીન મહેસુલ નિયમો-૧૯૭૨ના વહીવટી હુકમ-૩ની જોગવાઇઓ હેઠળ ‘ટેન્ટસીટી’ ના હેતુ માટે પ્રવાસન વિભાગને તબદિલ કરેલ જમીનમાં TGCL દ્વારા થયેલ કરાર આધારીત ટેન્ટસીટી-૧ નું નિર્માણ કરવામાં આવેલ છે. સદર તા.૨૫/૦૧/૨૦૨૧ ના રોજ અધિક કલેકટરશ્રી SOU ADTG ઓથોરીટી, એડમીનીસ્ટ્રેટર SOU ADTG ઓથોરીટી, મામલતદારશ્રી SOU ADTG ઓથોરીટી, મામલતદારશ્રી ગરૂડેશ્વર, પરિક્ષેત્રવન અધિક્ષકશ્રી કેવડીયા, ડી.આઇ.એલ.આર. SOU ADTG દ્વારા સંયુકત તપાસણી દરમ્યાન આપના દ્વારા ૪૨૦૦ ચો.મી. જમીનમાં અનઅધિકૃત કબ્જો કરી કરવામાં આવી રહેલ બાંધકામ ટેન્ટસીટીની લાગુ તળાવ કિનારે આવેલ છે. જેમાં નવીન ૧૬ ટેન્ટ તથા પ્રાઇવેટ સ્વીમીંગ પુલ ડેકનું બાંધકામ કરી રહેલ હોવાનું તપાસ દરમિયાન ધ્યાને આવેલ છે. આ ઉપરાંત ટેન્ટ સીટી-૧ ના માં મુખ્ય દ્વારની સામેના ભાગમાં આવેલ સર્વે નંબર ૧૧૨ પૈકી ૦-૨૭-૨૧ હેક્ટર જંગલ વિભાગ હસ્તકની જમીનમાં પાર્કીંગ તરીકે કોઈપણ જાતની પરવાનગી વગર ઉપયોગ કરવામાં આવેલ છે. આ માટે બાંધકામ કરતા પહેલાં કરારની શરત નં. ૨.૧.૨ (ડી) મુજબ આપના દ્વારા કોઈ પરવાનગી લેવામાં આવેલ નથી. ટેન્ટ સીટી-૧ નાં બાંધકામ બાબતે બિનખેતી પરવાનગી, બાંધકામનાં નકશા વિગેરે બાબતે પણ અધિકૃત કક્ષાએથી મંજૂરી લેવાયેલ હોવાનું જણાયેલ નથી તથા સદર સરકારી જમીનનાં ઉપયોગ બદલ કોઈ સક્ષમ અધિકારીશ્રીની પૂર્વમંજૂરી મેળવવામાં આવેલ નથી.

વધુમાં જણાવ્યાં મુજબ મોજે-ખલવાણી તા.ગરૂડેશ્વરનાં સર્વે નં. ૮૫-બ ની જમીન ગૌચર સદરની હોઇ નામ. સુપ્રિમ કોર્ટના તા.૨૮/૦૧/૨૦૧૧ સિવિલ અપીલનં. ૧૧૩૨/૨૦૧૧ ઈન એસ.એલ.પી(સી) નં. ૩૧૦૯/૨૦૧૧ માં આપેલ ચુકાદામાં જણાવેલ નિર્દેશોનું કડક અને ચોકસાઇપુર્વક પાલન કરવાનું થતુ હોઇ. મામલતદાર, ગરૂડેશ્વર તરફથી ગૌચરણ સદરની જમીન પર અનઅધિકૃત કબ્જો કરી કરેલ બાંધકામ જમીન મહેસુલ અધિનિયમ-૧૮૭૯ ની કલમ-૬૧, કલમ-૭૯ એ(એ) તથા કલમ-૨૦૨ ની જોગવાઇ મુજબ તાત્કાલિક અસરથી તેમના ખર્ચે અને જોખમે તમારા દ્વારા અનઅધિકૃત કબ્જો દુર કરવાનો હુકમ કરેલ છે.

વધુમાં, બદઈરાદાપૂર્વક નફાકીય હેતુસર સરકારી જમીન પચાવી પાડવાના ઉદ્દેશ્યથી કોઈ પણ મંજૂરી વગર બીનખેતી કૃત્ય કરેલ છે, તે સબબ ટેન્ટસીટી-૧નાં માલિકો તથા વહીવટકર્તાઓ સામે દંડનીય કાર્યવાહી તથા ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ હેઠળ ફોજદારી કાર્યવાહી કેમ ન કરવી, તે માટે જરૂરી આધાર પૂરાવા સહિત તા.૨૯-૦૫-૨૦૨૧ ના રોજ ૧૧-૦૦ કલાકે મામલતદાર, ગરૂડેશ્વર સમક્ષ હાજર થવાનું પણ ફરમાન કરાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here