બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-
છોટાઉદેપુર જીલ્લાના પૂર્વ સૈનિકો અને વિરનારીઓના સન્માન માટે આજરોજ દરબાર હોલ ખાતે સૈનિકોનું સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં છોટાઉદેપુરના નાયબ મામલતદાર તેમજ સૈનિક કલ્યાણ કચેરી વડોદરાના અધિકારી લે.કર્નલ ડો.કમલપ્રીત સાગીના સયુંકત અધ્યક્ષસ્થાને આ સંમેલન યોજાયું હતું.
આ સંમેલનમાં પૂર્વ સનીકો અને દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓને મળતી કલ્યાણકારી યોજનાઓની વિવિધ માહિતી આપવામાં આવી હતી. આપણા દેશ માટે પોતાનું બલિદાન આપનારા શહીદોના પરિવારજનો તેમજ પૂર્વ સૈનિકો અને વિસ્તારીઓને શાલ ઓઢાડી, ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ સંમેલન પૂર્ણ થયા બાદ કલ્યાણકારી યોજનાઓ અંગે સૈનિક પરિવારજનોને મળતા લાભો અને યોજનાકીય સહાય માટે માટે કાઉન્સેલિંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં વરિષ્ઠ સૈનિકોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમને અંતે જીલ્લા સૈનિક કલ્યાણ કચેરી, વડોદરાના સૌજન્યથી ભોજન સમારંભ રાખવામાં આવ્યો હતો. વડોદરાથી પધારેલા લે.કર્નલ ડૉ.કમલપ્રીત સાગીએ
જણાવ્યું હતું કે માં ભોમની રક્ષા કાજે પોતાનું જીવન ન્યોછાવર કરનારા વીર શહીદોના પરિવારજનોને બિરદાવવાનો આ અવસર છે શહીદોના પરિવારજનોની વિટમ્બણા દૂર થાય ત્યારે શહીદોને સાચી શ્રધાંજલિ આપી ગણાશે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની કેટલીય યોજનાઓ સૈનિકોના કલ્યાણ માટે અમલમાં છે, જીલ્લા વહીવટી તંત્રના સહયોગથી આપણે આવી યોજનાઓનો લાભ હક્કદારને મળે તે દિશામાં પ્રયત્ન કરવાનો છે. આ સંમેલનમાં સૈનિકોના બાળકોએ સંસ્કૃતિક કાર્યક્રમ યોજી સૌએ સાથે ભોજન લઈ કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.