ગોધરા,(પંચમહાલ)
ઈશ્હાક રાંટા
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી પંચમહાલ જિલ્લામાં વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત અર્થે જીલ્લાની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાની અધ્યક્ષતામાં પૂર્વતૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી. કલેક્ટરશ્રીએ મુખ્યમંત્રીશ્રીના શહેરા ખાતેના કાર્યક્રમ અંગેના પૂર્વ આયોજન સંદર્ભમાં થઈ રહેલી કામગીરીની વિગતવાર માહિતી મેળવી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે મુખ્યમંત્રીશ્રીની સૂચના અનુસાર કાર્યક્રમ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સહિતની કોરોના સામેની સાવચેતીઓનું ચુસ્તપણે પાલન થાય તે રીતે બેઠક વ્યવસ્થા, પીવાના પાણી, વીજપુરવઠો, શૌચાલય, સ્ટેજ વ્યવસ્થા સહિતના આયોજન અંગે ઉપયોગી માર્ગદર્શન અને નિર્દેશો આપ્યા હતા. ગોધરા, હાલોલ,જાંબુઘોડા (ઘોઘમ્બા) અને મોરવા હડફ ખાતેથી કાર્યક્રમમાં ઓનલાઈન જોડાવા અંગેની વ્યવસ્થા વિશે તેમણે સૂચના આપી હતી. બેઠકમાં પોલિસ અધિક્ષક ડો. લીના પાટીલ, ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે. રાઠોડ, નિવાસી અધિક કલેક્ટરશ્રી એલ.બી.બાંભણીયા, પ્રાંત અધિકારીશ્રીઓ સહિતના સબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.