મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર, શનિયાડા ૮ મા પ્રતિષ્ઠોત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરાઈ …

અમદાવાદ, મુસ્તુફા મિર્ઝા (કાલોલ) :-

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં આવેલું શનિયાડા ગામ ઐતિહાસિક અને ભૌગોલિક વિરસતતા ધરાવે છે. બે જિલ્લાના ત્રણ તાલુકાઓની હદ પર આવેલું શનિયાડા ગામ વનસંપદાથી ભરપૂર છે. શનિયાડા મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત સ્વામિનારાયણ મંદિર આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. મંદિર એ સાંસ્કૃતિક સંકુલ છે. મંદિર એટલે ભગવાનને રહેવાનું સ્થાન. મંદિર આધ્યાત્મિક, નૈતિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, સામાજિક, ધાર્મિક વગેરે પ્રવૃતિઓનું કેન્દ્ર છે. મંદિરો એટલે માનવસુધારણાનું કેન્દ્ર સ્થાન છે. પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાને જીવો ઉપર કેવળ કૃપા કરી સંવત 1837 માં પ્રગટ થયા અને મુમુક્ષુ જીવોને પોતાના તરફ આકર્ષ્યા. તેમણે પોતાના સ્વરૂપનું જ્ઞાન આપવા અનેક લીલા ચરિત્રો કર્યા અને પોતાની હયાતીમાં લાખો મનુષ્યોને સત્સંગી બનાવ્યા. સત્સંગનો પ્રચાર અને પ્રસાર વધુ થાય તે હેતુસર તથા આત્યંતિક મોક્ષની શરદઋતુ સદાય માટે ચાલતી રહે આવા ઉમદા હેતુથી શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે મંદિરોની સ્થાપના કરી. અને એ જ શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાર્વભૌમ નાદવંશ ઞગુરૂપરંપરાના ચતુર્થ વારસદાર શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર શ્રી મુક્તજીવન સ્વામીબાપા માટે જ કહે છે કે, માણસને સંસ્કારી બનાવવા માટે મંદિર, માણસને ઘડવા માટે મંદિર, સમાજ ઘડતર માટે મંદિર, સમાજની શુદ્ધિ માટે મંદિર, સદાચારની પ્રેરણા માટે મંદિર, મનની સ્થિરતા કેળવવા માટેનું માધ્યમ એટલે મંદિર. ધર્મ જ્ઞાન વૈરાગ્યના પાઠો ભણાવવા માટે મંદિર. માણસને ખરા અર્થમાં માણસ બનાવવા માટે મંદિર.

અને એ જ શ્રી સ્વામિનારાયણ ભગવાનની સાર્વભૌમ નાદવંશીય ગુરુપરંપરાના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે સત્સંગ સંસ્કારોનું સિંચન સદાય મળી રહે તેવા ઉમદા હેતુસર શનિયાડામાં ૮ વર્ષ પહેલાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત, શ્રી સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ કર્યું. મંદિરોથી સંસ્કાર વધે છે. સંસ્કાર હશે તો જ આપણને શાંતિ મળશે. મંદિરમાં વિશ્વબંધુત્વની ભાવના કેળવાય છે. વળી મંદિરોમાં રહેતા ભગવાનને સમર્પિત શુદ્ધ પવિત્ર જીવન જીવતા સંતોનો સમાગમ પણ મંદિરમાં આવવાથી જ સાંપડે છે. આપણી ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખી તેનું સદાયને માટે પોષણ કરવા માટે મંદિરની જરૂરિયાત છે.

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજના આશીર્વાદથી પૂજનીય સંતોના સાનિધ્યમાં પાટોત્સવ વિધિ, પૂજન, અર્ચન, અન્નકૂટ દર્શન, આરતી, કથાવાર્તા – સંતવાણી વગેરે આધ્યાત્મિક સભર કાર્યક્રમો યોજાયા હતા.

આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી મહારાજની અનુજ્ઞાથી શ્રી સ્વામિનારાયણ મંદિર, શનિયાડા ૮ મા વાર્ષિક પાટોત્સવમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી, પંચમહાલના મહંત શ્રી યોગપ્રિયદાસજી સ્વામી, શ્રી ઘનશ્યામસ્વરૂપદાસજી સ્વામી, શ્રી પ્રેમસ્વરૂપદાસજી સ્વામી, શ્રી યોગવલ્લભદાસજી સ્વામી, શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી, શ્રી શાંતિનિલયદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતો તથા હરિભક્તોએ ષોડશોપચારથી પાટોત્સવ વિધિ, પૂજન, અર્ચન, અન્નકૂટોત્સવ, આરતી ઉતારવાનો અલભ્ય લાભ લીધો હતો તથા મહંત સ્વામીએ જણાવ્યું હતું કે, ભગવાનમાં અનન્ય નિષ્ઠા અને દ્રઢ આશરો રાખી મનુષ્ય જીવનને સાર્થક કરવું જોઈએ તો જ જીવનમાં શાશ્ર્વત શાંતિ, અવિચળ સુખની પ્રાપ્તિ થાય છે. આ દિવ્ય અવસરનો લ્હાવો દેશો દેશના હરિભક્તોએ ઉલ્લાસભેર લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here