શ્રી સ્વામિનારાયણ મંદિરમાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાનો ૧૧૬ મો પ્રાગટ્યોત્સવ પરમ ઉલ્લાસભેર ઉજવાયો…

અમદાવાદ, મુસ્તુફા મિર્ઝા (કાલોલ) :-

આ અવસરે પૂજનીય સંતો – હરિભક્તોએ ૧૦૮ યુનિટ કરતાં વધુ રક્તદાન કર્યું…

હરિભક્તો પદયાત્રા કરી મણિનગર – અમદાવાદ આવ્યા

મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિરનાં પ્રાંગણમાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાનો ૧૧૬ મો પ્રાગટ્યોત્સવ શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં પરમ ઉલ્લાસભેર ઉજવણી કરાઈ હતી. ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાને સ્ટેજ ઉપર બિરાજમાન કરી અને શાહી સ્વાગતના તે તે પૂજનીય સંતો હરિભક્તોએ ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાને રાજોપચાર – શાહી પૂજન કરી અને પોતાની ભક્તિ અદા કરી હતી. ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાને આજના પાવન દિવસે સુવર્ણ મુગટ, પુષ્પની ચાદર, સુવર્ણના અલંકારો વગેરે ધારણ કરાવી અને કૃતકૃત્યતા અનુભવી હતી. શ્રીજીબાપા સ્વામીબાપાનું પૂજન પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે કર્યું હતું અને ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાને તુલામાં બિરાજમાન કરી શર્કરા, પૂગીફળ, શ્રીફળ, પુષ્પતુલા, ગોળ વગેરે પવિત્ર દ્રવ્યોથી તુલા કરવામાં આવી હતી. આ તુલાનાં હજારો દેશ વિદેશના મોટી સંખ્યામાં હરિભક્તોએ દર્શન કર્યા હતા અને ધન્યાતિત બન્યા હતા.

આ દિવ્ય પ્રસંગે પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજે દિવ્ય આશીર્વાદમાં જણાવ્યું કે આજથી ૫૧ વર્ષ પૂર્વે આ જ દિવ્ય દિવસ, આ જ સ્ટેજ ઉપર, આ જ સમયે ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્વરાટ થકા રાજાધિરાજપણે મધ્ય સિંહાસન પર અતિ પ્રસન્ન થકા બિરાજમાન હતા અને સંતો અને હરિભક્તોની વિશાળ સભા ભરાયેલી હતી. તે સમયે ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપા આ શ્રી સ્વામિનારાયણ ગાદી સામું અંગુલી નિર્દેશ કરી જણાવે છે કે, આ ગાદી જોઈ તમને બધાને આનંદ થાય છે ને! અક્ષરધામમાંથી શ્રી સ્વામિનારાયણ ભગવાનના સીધા આદેશથી અમે આ શ્રી સ્વામિનારાયણ ગાદીનું સંસ્થાપન કરીએ છીએ. ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ આ અક્ષરધામનો ધોરીમાર્ગ ખુલ્લો મુક્યો છે. આ પાવન અવસરે કેવડિયા – પંચમહાલથી મણિનગર – અમદાવાદ ૧૩૦ કિલોમીટરનું અંતર પદયાત્રા કરી હરિભક્તો આવ્યા હતા. તેમજ મોટી સંખ્યામાં પૂજનીય સંતો અને હરિભકતોએ ૧૦૮ યુનિટ કરતાં વધુ રક્તદાન કર્યું હતું. મણિનગર, શ્રી સ્વામિનારાયણ મંદિરમાં શ્રી મુક્તજીવન સ્વામીબાપાનો ૧૧૬ મો પ્રાગટ્યોત્સવ શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સંતો તથા દેશ વિદેશના હરિભક્તોએ સાથે મળીને પરમ ઉલ્લાસભેર ઉજવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here