ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-
પંચમહાલ જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમારના અધ્યક્ષસ્થાને
ગોધરા કલેકટર કચેરી,સભાખંડ ખાતે જિલ્લા સંકલન સમિતિ સહિત જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ હતી.જિલ્લા કલેકટરશ્રીએ સૌને આવકારીને બેઠકની કાર્યવાહી શરૂ કરી હતી.
આ બેઠકમાં ધારાસભ્યશ્રીઓની ઉપસ્થિતિમાં રોડ,જમીન,ભૂ માફિયાઓ સામે એક્શન લેવા,પાણી,પુરવઠા,સિંચાઈ,વીજળી વગેરેને લગતા વિવિધ પડતર પ્રશ્નો અને તેના નિરાકરણ તથા અમલીકરણ બાબતે ચર્ચા કરાઈ હતી.જેમાં મોટા ભાગના પ્રશ્નોનું નિરાકરણ આવતા તેનો નિકાલ કરાયો હતો.
બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ અસામાજીક તત્ત્વો તથા ભૂ માફીયાઓ વિરૂદ્ધ કાયદેસર કડક કાર્યવાહી કરવા સબંધિત અધિકારીશ્રીઓને સૂચના આપી હતી.આ સાથે જિલ્લામાં સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંતર્ગત લાભાર્થીઓને સમયમર્યાદામાં લાભ મળે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.
નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ બાબતે જિલ્લા પુરવઠા અધિકારીશ્રી એચ.ટી.મકવાણા દ્વારા વિવિધ સૂચનો કરાયા હતા.જેમાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો ૨૦૧૩ અંતર્ગત “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ( પી.એમ.જી. કે.એ. વાય ) ના અમલીકરણ બાબતોની ચર્ચા,નવીન વ્યાજબી ભાવની દુકાન ખોલવા બાબત,બ્રાંચ fps અંગે,વ્યાજબી ભાવોની દુકાનોની તપાસણી, ઉજ્જવલા યોજના અંતર્ગત કામગીરી બાબતે ચર્ચા કરાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રેણુકાબેન ડાયરા, હાલોલ ધારાસભ્યશ્રી જયદ્રથસિંહ પરમાર,કાલોલ ધારાસભ્યશ્રી ફતેહસિંહ ચૌહાણ,પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી,નાયબ વન સંરક્ષકશ્રી મીના સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.