કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં મોમ્બાસા, કેન્યામાં સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રીમુખવાણી – ગ્રંથરાજ વચનામૃતની ૨૦૪ મી પ્રાગટ્ય જ્યંતીની પરમ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજે વચનામૃત ગ્રંથનું પૂજન, અર્ચન તેમજ આરતી પણ ઉતારી હતી તેમજ સંતો હરિભક્તોએ સાથે મળીને આરતી ઉતારી હતી.
આ પાવનકારી અવસરે પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજે દિવ્ય આશીર્વાદમાં જણાવ્યું હતું કે, વચનામૃત એટલે સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની અનુભવની વાણી. વચનામૃતમાં મનમાં ઉદ્ભવતા અનેક પ્રશ્નોના સમાધાન આપેલા છે. દરેક પ્રશ્નોના સાવ સામાન્ય લાગે એવા સૈદ્ધાંતિક ઉપાયો વચનામૃતમાં આપવામાં આવ્યા છે. જીવનમાં સુખી થવું હોય તો પોતાની ભૂલ સમજવી જોઈએ અને ટાળવી જોઈએ. દરરોજ થોડો સમય કાઢીને વચનામૃત ગ્રંથનું પઠન પાઠન કરી તેને વર્તનમાં મૂકવું જોઈએ તો જીવનમાં બેઠા આનંદની પ્રાપ્તિ થાય. આ દિવ્ય અવસરનો લાભ દેશ વિદેશનાં હરિભક્તોએ પરમ ઉલ્લાસભેર લીધો હતો.