નર્મદા જીલ્લામાં કુપોષણની ભારે સમસ્યા “આદિવાસી વિસ્તારમાં મહિલા-બાળકોનો પરંપરાગત ખોરાક” થીમ પર યોજાયો કાર્યક્રમ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

પોષણ પંચાયત” પર વિશેષ ભાર આપી જિલ્લાને કુપોષણ મુક્ત બનાવવા આંગણવાડી કાર્યકરોને આઈ.સી.ડી.એસ.ના જિલ્લા પ્રોગ્રામ ઓફીસર શ્રીમતી ક્રિષ્નાબેન પટેલનો અનુરોધ

બાળકના જન્મથી લઈને એક હજાર દિવસ સુધી કાળજી લેવાની રીત અંગે જરૂરી માર્ગદર્શન અપાયું

નર્મદા જીલ્લા ના આદિવાસી વિસ્તારોમાં સગર્ભા માતાઓ સહિત નવા જન્મ લેતા બાળકો માં કુપોષણ ની ભારે મોટી સમસ્યા છે, જેનુ નિરાકરણ લાવવા અનેક વિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહયા છે જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મહિલાઓ તેમજ બાળકોના પોષણસ્તરમાં સુધારો લાવવાના હેતુથી શરૂ કરાયેલા પોષણ માહને અનુલક્ષીને નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકા આઈ.સી.ડી.એસ. ઘટક દ્વારા આઇ.સી.ડી.એસ નાંદોદ ખાતે “સ્વસ્થ બાળક સ્પર્ધા” તેમજ “આદિવાસી વિસ્તારમાં મહિલાઓ અને બાળકોનો પરંપરાગત ખોરાક” ની થીમ પર વાનગી નિદર્શન કાર્યક્રમ યોજાયો હતો.

જિલ્લાને કુપોષણમુક્ત કરવાની નેમ સાથે યોજાયેલા ઉક્ત કાર્યક્રમમાં આઈ.સી.ડી.એસ.ના જિલ્લા પ્રોગ્રામ ઓફીસર શ્રીમતી ક્રિષ્નાબેન પટેલે કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓને બાળકના જન્મથી લઈને પ્રથમ એક હજાર દિવસ દરમિયાન બાળકોની કેવી રીતે સારસંભાળ લેવી, સગર્ભાવસ્થા દરમિયાન અને બાળકના જન્મ બાદ બે વર્ષ સુધી સ્તનપાન સાથે કાળજી લેવા અંગે જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું. વધુમાં સરકાર ની પોષણસુધા યોજના અંતર્ગત સગર્ભા માતાઓના ખોરાક તેમજ આયર્નની ગોળી લેવા સહિત બહારની ચીજ-વસ્તુઓ ગ્રહણ ન કરવા અંગે વિસ્તૃતમાં સમજ પુરી પાડી હતી.

પોષણ માહ અંતર્ગત નાંદોદ તાલુકાના સાત સેજામાં RBSK ટીમ દ્વારા બાળકોનું વજન અને ઉંચાઈ માપી સૌથી વધુ તંદુરસ્ત બાળકને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યાં છે. ત્યારે કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકર બહેનો તેમજ ઉપસ્થિત તમામ બહેનોને “ટ્રાયબલ ફૂડ” એટલે કે, આદિવાસી વિસ્તારની પરંપરાગત વાનગીનો પર વિશેષ ભાર, ખોરાક બનાવવાની પદ્ધતિમાં બદલાવ તેમજ બહારની વસ્તુઓથી પોતે અને પોતાના પરિવારને દૂર રાખી અન્ય ગ્રામજનોને પણ જાગૃત કરવા અંગે જાણકારી આપવામાં આવી હતી. કાર્યક્રમના સ્થળે આંગણવાડ કાર્યકર દ્વારા પૌષ્ટિક અને પરંપરાગત વાનગીઓનું નિદર્શન પણ કરાયું હતું.
નર્મદા જીલ્લા માં આઈ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ ઓફિસર દ્વારા પ્રત્યેક ગ્રામ પંચાયતોમાં સરપંચ તેમજ ગામના આગેવાનો સાથે સંકલન સાધીને ગામની તમામ માતા-બહેનો તેમજ બાળકોના પોષણ સ્તરને સુધારવા માટે પોષણ માહ અંતર્ગત ખાસ ઝુંબેશ શરૂ કરવા જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે.

આઇ.સી.ડી.એસ નાંદોદ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં નાંદોદ તાલુકાના બાળ વિકાસ યોજના અધિકારી શ્રીમતી હેમાંગીનીબેન ચૌધરી, RBSK મેડિકલ ઓફિસર સુશ્રી ડો. તેજલબેન વસાવા, રાજપીપલા NRC ના સુશ્રી. ગ્રીષ્માબેન શાહ, અન્ય સામાજિક સંસ્થાના પ્રતિનિધિ ઓ સહિત આંગણવાડી કાર્યકર બહેનો, માતાઓ-બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here