રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-
પાસા હેઠળ અટકાયત કરવા નર્મદા પોલીસ મધ્યપ્રદેશ ગઇ પણ આરોપી ફરાર
નર્મદા જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ગુજરાત અસામાજિક પ્રવૃતિ અટકાવવા બાબતના અધિનિયમ-૧૯૮૫ ની કલમ-૩, પેટા કલમ-૨ મુજબ સજ્જનસિંહ ગુલાબસિંહ ચૌહાન (ભીલાલા), રહે. ઇન્દરસીંગ કી ચોકી, પુંજારા, હોલી ફળિયું, અલીરાજપુર, તા. જિ. અલીરાજપુર (મધ્યપ્રદેશ)ને અટકાયતમાં લેવા માટેનો તા. 22/05/2023ના રોજ પાસાનો હુકમ કર્યો હતો. જે હુકમ અન્વયે તેને અટકાયતમાં લેવા જિલ્લાના પોલીસ સબ ઈન્સ્પેક્ટર તથા પોલીસના માણસોની ટીમે તેના રહેણાંક મકાન તથા આશ્રય સ્થાનો ઉપર તપાસ કરતાં તેમજ કરાવડાવતા તે મળી આવેલ નથી. પોતાની અટકાયત ટાળવા તે એક યા બીજું સ્થળ બદલી ભાગતો ફરે છે. તેને અટકાયતમાં લેવા સી.આઇ.ડી. ક્રાઈમની પણ મદદ લેવા માટે પોલીસ મહાનિર્દેશક, સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ, ગુજરાત રાજ્ય ગાંધીનગરને રિપોર્ટ કરવામાં આવ્યો છે. તેમ છતાં આજ દિન સુધી તેની અટકાયત થઈ શકી નથી. જેથી સજ્જનસિંહ ગુલાબસિંહ ચૌહાનને અત્રેથી ઈસ્યુ થયેલા પાસા વોરંટના કામે અટકાયતમાં લેવા માટે અને ભાગેડુ જાહેર કરવા પોલીસ અધિક્ષક દ્વારા દરખાસ્ત કરવામાં આવી હતી. જેના અનુસંધાને જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા તેઓને મળેલી સત્તાની રૂએ પાસા વોરંટના સજ્જનસિંહ ગુલાબસિંહ ચૌહાન (ભીલાલા) ને ભાગેડુ જાહેર કરવામાં આવ્યો છે.