ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા1 :-
ધોરાજીના પછાત ગણાતા વોર્ડ નંબર એક નાં રામપરા વિસ્તારમાં રોડ રસ્તાના પ્રશ્ને વિસ્તારનાં રહીશો મા ભારે રોષ છવાયો છે.ધોરાજીના આ એરિયામાં છેલ્લા દાયકાઓથી રોડ રસ્તા બન્યા નથી.
ત્યારે આજે રામપરા વિસ્તારનાં રહીશો દ્વારા વિરોધ પ્રગટ કરાતો અનોખો કાર્યક્રમ અપાયો હતો.
આજ રોજ બપોરના સમયે રામપરા વિસ્તારનાં રહીશો જેમા બાળકો, મહિલાઓ, પુરુષો પ્રત્યેક ઘરમાંથી નીકળી રોડ પર પોતાનો વિરોધ દર્શાવવા મોટી સંખ્યામા ઉમટી પડયા હતા. બહોળી સંખ્યામાં એકઠા થયેલા લતાવાસીઓ શાંતિપૂર્ણ રીતે નજીકમાં આવેલા રામેશ્વર મહાદેવ મંદીર ખાતે પોહચ્યાં હતાં. જ્યાં તેમણે ભગવાન ભોળાનાથ નાં ચરણોમાં પોતાનાં રોડ રસ્તા નાં પ્રશ્ને આવેદન ધરી પોતાની માગણી પ્રાર્થના સ્વરૂપે કરી હતી.
અને એકઠા થયેલા લોકોની ભીડમાં ધોરાજીના ધારાસભ્ય વિરૂદ્ધ નારાબાજી કરવામા આવી હતી. તેમજ મંદિરે આવેદન પત્ર રાખવા ઉપરાંત ધોરાજીના શાસકોને ભગવાન સદ્બુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છેકે ધોરાજી રામપરા વિસ્તારનાં રહીશો દ્વારા થોડા દિવસ પહેલા રોડ રસ્તા મામલે તંત્રને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. જોકે ત્યારબાદ પણ તંત્ર દ્વારા રામપરા વિસ્તારનાં રોડ રસ્તા નાં પ્રશ્નોની ઉપેક્ષા કરવામાં આવતા આખરે લોકોએ કંટાળી મંદિરે આવેદન પત્ર આપી અનોખો વિરોધ દર્શાવ્યો હતો.