છોટાઉદેપુર, શેખ મુઝફ્ફર નજર :-
છોટાઉદેપુર જીલ્લાની રોડ સેફટી કમિટીની બેઠક આજરોજ વીસી હોલ ખાતે ડીડીઓના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. ત્રિમાસિક યોજાતી આ મીટીંગમાં ગત મીટીંગની સમીક્ષા, ત્રણ માસમાં જીલ્લામાં થયેલા અકસ્માતોનું અવલોકન અને સમીક્ષા, પોલીસ અને આરટીઓ દ્વારા સંયુક્ત ફિલ્ડ વિઝીટની સમીક્ષા, રોડ એન્જિનિયરિંગ સંબંધિત મુદ્દાઓ, જનજાગૃતિ તથા પ્રચાર પ્રસાર જેવી બાબતોના અનુસંધાને બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. રીપોર્ટ મુજબ જીલ્લામાં જુન-૨૦૨૩માં ૧૪ અકસ્માતો નોંધાયા હતા. જેમાં ૯ ગંભીર અને ૫ સામાન્ય પ્રકારના અકસ્માતો હતા. જુલાઈ-૨૦૨૩માં કૂલ ૧૧ અકસ્માતો થયા હતા. જેમાં ૦૬ ગંભીર અને ૫ સામાન્ય હતા. બંને મહિનામાં છોટાઉદેપુર જીલ્લામાં કૂલ ૧૭ લોકોના મોત નીપજ્યા છે. આ અંગે નવનિયુક્ત એસપી અને જીલ્લા વિકાસ અધિકારીએ ગંભીર બાબત જણાવી ચિતા વ્યક્ત કરી હતી. અકસ્માત નિવારવા માટે જીલ્લાના નાગરિકોને સુરક્ષા સાથે વાહન ચલાવવા અનુરોધ કર્યો છે. અકસ્માતોની સંખ્યામાં ગતિ નિયંત્રણ તેમજ હેલ્મેટ, સીટ બેલ્ટ અને બેઝીક સેફટી જાળવવાથી નોંધપાત્ર ઘટાડો લાવી શકાય છે. સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી તેમજ કમિટીના સભ્ય સચિવ તમામ એજન્ડાઓ કમિટી સમક્ષ મુક્યા હતા. જે સર્વાનુમતે નિકાલ કરવા માટે સહમતી દર્શાવી હતી. આ સિવાય રોડની નજીક આવેલી શાળાઓ પાસે સ્પીડ હમ્પ મુકવા માટે શિક્ષણાધિકારી પાસેથી આવી શાળાઓનું લિસ્ટ માંગી તેના પર કામગીરી કરવા આરટીઓ અને આર એન્ડ બીને સુચના આપાઈ હતી.
જિલ્લામાં સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત રજૂ થયેલા પ્રશ્નોનો હકારાત્મક નિકાલ
જીલ્લા વિકાસ અધિકારીના અઘ્યક્ષસ્થાને યોજાયેલ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ૨૦ જેટલા પ્રશ્નોનો હકારાત્મક નિકાલ માટે ખાતરી આપવામાં આવી.
દર મહિનાના ચોથા ગુરુવારે સમગ્ર રાજ્યમાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવે છે. આ કાર્યક્રમમાં જિલ્લાના નાગરિકો દ્વારા વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવે છે જે પ્રશ્નોનું આ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદાર નાગરિકો અને સંબંધિત અધિકારીઓની હાજરીમાં સાંભળીને તેનું નિરાકરણ લાવવામાં આવે છે.
આજે છોટાઉદેપુર જિલ્લામાં જીલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો. જેમાં જિલ્લાના અરજદાર દ્વારા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા. ડીડીઓ દ્વારા જિલ્લા સ્વાગત કાર્યક્રમ અંતગર્ત જિલ્લા કક્ષાએથી ઉપસ્થિત અરજદારોના વણઉકલ્યા પ્રશ્નોને સાંભળી સંબંધિત અધિકારીશ્રીઓ સાથે વિગતે ચર્ચા કરી અરજદારોના પ્રશ્નોનું ઝડપથી અને સમયમર્યાદામાં નિરાકરણ કરવા માટે સૂચના આપી હતી. આમ, જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અતર્ગત ૨૦ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો.
કાર્યક્રમમાં કલેકટર બહાર હોવાથી જીલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપરાંત નિવાસી અધિક કલેક્ટર કે.ડી ભગત, એસપી ઈમ્તિહાસ શૈખ તેમજ અન્ય સબંધિત વિભાગના અધિકારીઓશ્રીઓ તેમજ અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.