છોટાઉદેપુર, સકીલ બલોચ :-
છોટાઉદેપુર જિલ્લાના કેવડી ખાતે આજરોજ જિલ્લા કલેક્ટર સુશ્રી. સ્તુતિ ચારણના માર્ગદશન હેઠળ મહેસુલી વિભાગની ચિંતન શિબિર યોજાઈ હતી. આ કાર્યક્રમની શરૂઆતમાં અધિકારીઓનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરાયુ અને દિપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમ શરૂ કરાયો હતો. આ ચિંતન શિબિરમાં મહેસુલી વિભાગને લગતા પ્રશ્નોની ચર્ચા કરાઈ હતી. જેમાં ઈ-ધારા , સરકારી જમીનની ફાળવણી, ખેડૂત ખારાઈ પ્રમાણપત્રો વગેરે જેવા પ્રશ્નોમાં કર્મચારીઓ અને અરજદારોને પડતી મુશ્કેલીઓનાં નિવારણ માટે ચર્ચા કરાઈ હતી.
ચિંતન શિબિરમાં અરજદારોને પોતાના કામમાં જે મુશ્કેલી પડે છે તે દૂર કરવી અને તેમને યોગ્ય રીતે સમજાવવા તેમજ જરૂર જણાય ત્યાં લેખિતમાં તેમને જાણ કરવા જણાવાયું. આ કાર્યક્રમમાં હાજર રહેલા નિવાસી અધિક કલેક્ટર કે.ડી.ભગત દ્વારા પણ પોતાના અંગત અનુભવો જણાવવામાં આવ્યા. અહીં, મામલતદારો, નાયબ મામલતદારો તરફથી મળતા પ્રશ્નોમાં પણ કલેક્ટર સુશ્રી. સ્તુતિ ચારણ તથા અધિક નિવાસી કલેક્ટર કે.ડી. ભગત દ્વારા ઉપયોગી સૂચનો કરાયા હતા.
આ કાર્યક્રમમાં પ્રાંતઅધિકારીઓ , પ્રાયોજના વહીવટદાર , મામલતદારો , નયબ મામલતદારો, તથા જિલ્લાનાં મહેસુલી વિભાગનાં અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.