ઘોઘંબા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-
આજે ભાજપ સરકાર દ્વારા ગુજરાતમાં રોજગાર દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે ઘોઘંબા તાલુકા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા તાલુકાના વિવિધ ઘોઘંબા, દાઉદ્રા, બાકરોલ ગામોમાં બેરોજગારી દિવસ તરીકે ઉજવવામાં આવ્યો.
ઘોઘંબા ખાતે પાર્ટીના કાર્યાલય પર ઝોન યુવા પ્રમુખ ભરતભાઇ રાઠવાની આગેવાનીમાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો. જેમાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ભરતભાઈ રાઠવાએ ગુજરાત રાજ્યમાં વધતી જતી રોજગારી ના આંકડા રજૂ કર્યા હતા અને ભાજપ સરકાર રોજગારી આપી રહી નથી પણ બેરોજગારો વધારી રહી છે એમ જણાવ્યું હતું અને વિસ્તાર પૂર્વક માહિતી આપી હતી.
આ કાર્યક્રમમાં ત્રીસ જેટલા યુવાનોએ હાજરી આપી હતી. જેમાં જિલ્લા યુવા સહમંત્રી પંકજભાઈ રાઠવા, તાલુકા મહામંત્રી રાજેશભાઈ રાઠવા, પ્રતાપભાઈ રાઠવા, તાલુકા કિસાન સમિતિના સભ્ય જગદીશભાઈ બારીઆ, તાલુકા યુવા મહામંત્રી ધર્મેશભાઈ પરમાર, સહમંત્રી આદિલ શેખ સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા.
બાકરોલ ગામે તાલુકા પ્રમુખ અર્જુનસિંહ બારીઆ અને જિલ્લા મહામંત્રી પ્રવિણભાઈ રાઠવા ની આગેવાનીમાં બેરોજગાર દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો.
બાકરોલ ચોકડી પર યોજાયેલા આ કાર્યક્રમમાં વીસ જેટલા યુવાનો હાજર રહ્યા હતા. તાલુકા પ્રમુખ અર્જુનસિંહ બારીઆએ વધતીજતી બેરોજગારી બાબતે ચિંતા વ્યક્ત કરી હતી. જિલ્લા મહામંત્રી પ્રવિણભાઈ રાઠવાએ સરકારની ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે, રોજગારી દિવસ ઉજવણી કરી સરકારે બેરોજગાર યુવાનોનું અપમાન કર્યું છે એમ કહ્યું હતું.
પંચમહાલ જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆ, જિલ્લા સંગઠન મંત્રી દર્શન વ્યાસ તથા શહેરા તાલુકા પ્રમુખ અરવિંદભાઈ માછી દ્વારા માન. જિલ્લા નાયબ કલેકટર સાહેબશ્રીને બેરોજગારોને જિલ્લા ઔધોગિક એકમોમાં રોજગારી અપાવવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે.