કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને ઓક્સિજનની ઉપલબ્ધિ અંગે તંત્ર દ્વારા તૈયારીઓ

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

પીક સમયે ઓક્સિજન વપરાશ પ્રથમ લહેરની તુલનાએ 20 ગણો વધ્યો હોવા છતા પુરવઠો ખોરવાવા ન દીધો

દ્વિતીય લહેર દરમિયાન 4 લાખ લિટરથી વધુ ઓક્સિજનનો જથ્થો ઉપલબ્ધ કરાવ્યો

ત્રીજી લહેરમાં પણ ઓક્સિજન સપ્લાય અવિરત રહે તે દિશામાં કામગીરી શરૂ

અત્યંત ઘાતક નીવડેલી કોરોના સંક્રમણની બીજી લહેર દરમિયાન દરમિયાન સંક્રમણથી વધુ પ્રભાવિત થનારા દર્દીઓમાં ઓક્સિજન વપરાશનું પ્રમાણ પણ અનેકગણું વધી જવા પામ્યું હતું. પંચમહાલ જિલ્લામાં પણ પીક સમયે (સંક્રમણના મહત્તમ કેસો આવતા હોય તે સમયગાળો) ઓક્સિજનનો વપરાશ પ્રથમ લહેરના 700 લિટરની સામે વધીને દિવસના અંદાજિત 14 હજાર લિટર થવા પામ્યો હતો. જો કે જિલ્લા તંત્રના સુચારૂ આયોજન અને સક્રિયતાએ વપરાશમાં 20 ગણો વધારો થવા છતા ઓક્સિજન સપ્લાઈ નિરંતર જળવાઈ રહે તે સુનિશ્ચિત કર્યું હતું. કોરોનાની દ્વિતીય લહેર દરમિયાન તંત્ર દ્વારા જિલ્લાના નાગરિકો માટે કુલ 4,00,000 લિટર કરતા પણ વધુ ઓક્સિજન ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો. હાલમાં કોરોનાના કેસો ઘટતા ઓક્સિજનનો વપરાશ ઘટીને દૈનિક 1 થી 1.5 ટન થયો છે પરંતુ દ્વિતીય લહેર સમયે ઓક્સિજન વપરાશને ધ્યાનમાં રાખીને 32,000 લિટર ઓક્સિજનની સંગ્રહ ક્ષમતા ઉભી કરવામાં આવી હતી. પ્રથમ લહેર સમયે ઓક્સિજન વપરાશની દૈનિક સરેરાશ 400 લિટર ઓક્સિજન (40 જમ્બો સિલિન્ડર)ની રહેતી હતી, જે પીક સમયે 700 લિટર પર પહોંચી હતી. જો કે દ્વિતીય લહેરમાં કેસો ઝડપથી વધતા નર્સિંગ સ્કૂલ અને તાજપુરા કોવિડ હોસ્પિટલ ખાતે ઓક્સિજનની સુવિધા ધરાવતા કુલ 195 બેડ ઉમેરવામાં આવ્યા હતા. દ્વિતીય લહેર દરમિયાન ઓક્સિજનનો વપરાશ અનેકગણો વધી જતા સિવિલ હોસ્પિટલ ખાતે 1.5 અને 1 કિલોલીટરની બે પોર્ટા ક્રાયો (પોર્ટેબલ ક્રાયોજેનિક વેસલ), નર્સિંગ સ્કૂલ, ગોધરા ખાતેન 1 કિલોલીટરની 3 પોર્ટાક્રાયો તાજપુરા ખાતે 1 કિલોલીટરની 01 અને 200 લિટર ક્ષમતાની એક એ કુલ 10 ડ્યુરા ટેન્કમાં ઓક્સિજનનો જથ્થો જાળવી આ હોસ્પિટલ્સને પૂરો પાડવામાં આવતો હતો. જરૂર પડ્યે અંદાજિત 40,000 લિટર ઓક્સિજન પૂરો પાડી શકાય તે પ્રકારની વ્યવસ્થા તંત્ર દ્વારા ઉભી કરવામાં આવી હતી. ઓક્સિજનની બજાર કિંમત પ્રમાણે જોઈએ તો તંત્ર દ્વારા તે સમયગાળા દરમિયાન પ્રતિ દિન અંદાજે 3 લાખથી વધુની કિંમતનો ઓક્સિજન પૂરો પાડ્યો હતો. ઓક્સિજનની વ્યવસ્થા ખોરવાય નહીં તે માટે જિલ્લા કલેક્ટરશ્રીએ સીડીએચઓ ડો.મીનાક્ષી ચૌહાણ, સીડીએમઓ ડો. મોના પંડ્યા, ડ્રગ્સ ઈન્સ્પેક્ટર શ્રી સંજય સાવલિયા, સર્ટિફાઈંગ સર્જનશ્રી ડો. સુનિલ પટેલ, ડિવાયએસપી સુશ્રી હિમાલા જોષી, ઈન્ચાર્જ આરટીઓશ્રી બી.એ. ચાવડા, ડિઝાસ્ટર મામલતદારશ્રી પ્રતીક સંગાડા સહિતના અધિકારીઓને ફરજ પર મૂક્યા હતા.

કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને ઓક્સિજનની ઉપલબ્ધિ અંગે તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. જિલ્લાના મોરવા સહિતના અંતરિયાળ વિસ્તારોમાં આવેલ સીએચસી, પીએચસી પર બહારથી લવાતા ઓક્સિજન પરની નિર્ભરતા ઓછી કરવા પીએસએ પ્લાન્ટ્સ કાર્યરત કરવામાં આવી રહ્યા છે. જિલ્લામાં કુલ 09 પીએસએ પ્લાન્ટ્સનું આયોજન છે, જે પૈકી તાજપુરા અને ગોઠડા ખાતે 02 પીએસએ પ્લાન્ટ્સ કાર્યરત થઈ ગયા છે. જ્યારે ઘોઘંબામાં 02, જાંબુઘોડામાં 01, ગોધરા નર્સિંગમાં 02, કાલોલમાં 01, શહેરામાં 01 તથા મોરવા (હ)માં 01 ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here