છોટાઉદેપુર, સકીલ બલોચ :-
ઇસ્લામ ધર્મના ચોથા ખલીફા હજરત અલી કર્મલ્લાહુ વજહુલ કરીમ એટલે કે ઇસ્લામ ધર્મના સ્થાપક અને પયગંબર હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ સાહેબના કાકાના પુત્ર અને દામાદ તેમજ હઝરત ઇમામ હસન અને હુસેન રદીયલ્લાહુ અન્હુમના પિતા હઝરત અલી ઇબ્ને અબુ તાલિબનો જન્મ ઇસ્લામિક કેલેન્ડર અનુસાર ૧૩ રજ્જબ હિજરી સન ૨૪, અને અંગ્રેજી કેલેન્ડર મુજબ ૨૩મી ઓક્ટોબર ઈ.સ. ૫૯૮માં કાબા શરીફમાં થયો હતો.
ઇસ્લામી ઇતિહાસમાં હજરત અલી તેમની બહાદુરી, જ્ઞાન, ઈમાનદારી, ત્યાગ અને મહંમદ સાહેબ પ્રત્યેની શ્રદ્ધા માટે જાણીતા છે,
મોહમ્મદ સાહેબે તેમની વહાલી પુત્રી હજરત ફાતિમાના નિકાહ તેમની સાથે કર્યા હતા. માત્ર ૧૦ વર્ષની ઉંમરે ઇસ્લામનો અંગીકાર કરનાર તેઓ વિશ્વના સૌ પ્રથમ બાળક હતા.
આ ઉપરાંત તેઓ ઇસ્લામના અંતિમ અર્થાત્ ચોથા ખલીફા (ઈ.સ. ૬૫૬થી ૬૬૧) પણ હતા.
હજરત અલી આજે પણ તેમના આદર્શ જીવન અને હિદયાતો-ઉપદેશો દ્વારા લોકોના હૃદયમાં જીવંત છે.
આજરોજ તેઓની વિલાદત એટલેકે જન્મ દિવસ નિમિત્તે છોટાઉદેપુર જિલ્લામાં ઠેર-ઠેર ઝુલુસ સાથે જનમેદની ઉમટી પડી હતી,
તે સાથેજ જિલ્લામાં અનેક જગ્યાએ નગરજનોમાં તેમના નામે નિયાઝ જમાડવાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું,
ઇસ્લામી શાસનના ચોથા ખલીફા યુગપુરુષ હજરત અલી (રદીયલ્લાહુ અન્હુ) ને તેમના જન્મ દિવસ નિમિત્તે આપણા સૌના કોટી કોટી વંદન.