મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-
મહિલા પહેલાથી જ સશક્ત છે, અને પોતાના પરિવારની જવાબદારી નિભાવીને શ્રેષ્ઠ નેતૃત્વ કરતી આવી છે :કલેક્ટર શ્રી પ્રશસ્તિ પારીક
આજરોજ અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે “નારી વંદન ઉત્સવ” નિમિત્તે “મહિલા નેતૃત્ત્વ દિવસની” ઉજવણી કરવામાં આવી. મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રીની કચેરી દ્વારા તેમજ જિલ્લા વહીવટી તંત્રના અન્ય વિભાગો/ કચેરીઓ મારફતે મહિલાઓ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.
રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નારી વંદન ઉત્સવ 1લી થી 7મી ઓગસ્ટ સુધી ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં સપ્તાહ દરમિયાન વિવિધ થીમ આધારિત પ્રવૃત્તિઓ થશે. તેને ધ્યાનમાં રાખીને અરવલ્લી જિલ્લામાં ચોથા દિવસે “મહિલા નેતૃત્ત્વ દિવસ” તરીકે ઉજવ્યો હતો. આ કાર્યક્રમમાં મહિલા નેતૃત્ત્વ જેવી વિવિધ થીમ અનુરૂપ શેરી નાટક યોજવામાં આવ્યા હતા જેનો ઉદ્દેશ મહિલા નેતૃત્ત્વ અને સશક્તિકરણનું મહત્વ સમજાવવાનો હતો.
કલેક્ટરશ્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે,’સમાજના વિકાસમાં પુરૂષો જેટલુ જ મહત્વ સ્ત્રીઓનું છે, સમાજના તમામ પાત્રો સાથે જોડાય સારા બીજ રોપે તેવા હેતુથી મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણી કરવામાં આવે છે. રાજ્ય સરકારનો ઉમદા હેતુ છે કે, સ્ત્રી દરેક ક્ષેત્રમાં આગળ વધે, જે સમાજમાં મહિલાઓનુ યોગદાન વધારે હોય તે જ સમાજ ખરેખર શ્રેષ્ઠ ગણી શકાય. સમાજનો અડધો હિસ્સો સ્ત્રીઓનો છે, છતાં પણ તેની અવગણના કરવામાં આવી રહી છે. મહિલા સશક્તિકરણ ઉજવવાનો હેતુ સ્ત્રી પોતાના હક્કોથી જાગૃત બને અને તેમના પર થતા અન્યાયનો સામનો કરી પોતાના જીવનની દિશા અને ધ્યેય નક્કી કરી પોતાનુ સમાજ જીવન યોગ્ય રીતે જીવી શકે.,સમાજ વ્યવસ્થાના ભાગરૃપે દરેક મહિલાએ પોતાને મળતા સમયમાં પોતાનામાં રહેલી શક્તિનો વિકાસ કરવો જોઈએ. એક અભ્યાસ મુજબ પુરુષોની સાપેક્ષમાં સ્ત્રીઓનો સ્વનિર્ભર થવાની બાબતમાં આંક ઊંચો છે તેવું તારણ નીકળ્યું છે. આવનારા દિવસોમાં દરેક મહિલાઓને સ્વનિર્ભર થવાની તક ઊભી થઈ છે અને કુટુંબમા તેમજ રાષ્ટ્રમાં ઉપયોગી મહિલાઓનું નેતૃત્ત્વ વધે તે માટે રાજ્યસરકાર કટીબદ્ધ છે.’
અરવલ્લી જિલ્લા પ્રમુખશ્રી લાલસિંહ ચૌહાણ,જિલ્લા પોલીસ વડાશ્રી શૈફાલી બરવાલ,જિલ્લા વિકાસ અધિકારીશ્રી દીપેશ કેડિયા,DRDA ડાયરેક્ટર શ્રી આર.એન.કુચારા, મોડાસા નગરપાલિકા પ્રમુખશ્રી જલ્પાબેન ભાવસાર સાથે સંબંધિત અધિકારીઓશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.