ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-
લોકશાહીના મહાપર્વ સમાન ભારતનું ભવિષ્ય કહેવાતા લોકસભાની ચૂંટણીઓમાં પંચમહાલ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહને 509342 મતોથી પરાજીત કરી ભાજપના રાજપાલ સિંહએ ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો હતો.. જેને લઈ પંચમહાલ જિલ્લા ભાજપા સંગઠન સહિત મોદી પરિવારમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી…
ગુજરાતમાં 7 મી મેના રોજ યોજાયેલ લોકસભાની ચૂંટણીની મતગણતરી સમગ્ર દેશ સહિત ગોધરા ખાતે પણ આજરોજ હાથ ધરવામાં આવી હતી. જેમાં પંચમહાલ લોકસભા બેઠકની મતગણના ગોધરા તાલુકાના છબનપુર કોલેજ ખાતે હાથ ધરાઈ હતી. ત્યારે ભાજપાના ઉમેદવાર રાજપાલ સિંહ જાદવને 794579 મતો મળ્યા હતા જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણને 285237 મતો મેળવી સંતોષ માનવો પડ્યો હતો.. આમ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજપાલ સિંહ જાદવે પોતાના નજીકના પ્રતિસ્પર્ધી ગુલાબસિંહ ચૌહાણ ઉપર શરૂઆતથી જ લીડ પ્રાપ્ત કરી અને અંતિમ રાઉન્ડ સુધી ચાલેલી મતગણનામાં રાજપાલ સિંહ જાદવનો 509342 મતોથી ભવ્ય વિજય થયો હતો.