રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-
દેડિયાપાડા અને સાગબારા તાલુકાના ૫૨(બાવન) ગામોમાં આદિમજૂથના પરિવારોનો વસવાટ
ભારત સરકાર દ્વારા આદિમજુથના વિકાસ માટે PRADHAN MANTRI JANJATI ADIVASI NYAYA MAHA ABHIYAN (PM-JANMAN) અભિયાન હાથ ધરાયું છે. જે અંતર્ગત આદિમજુથના પરિવારોને પાયાની સુવિધાઓ પુરી પાડવાની જરૂરીયાતો અંગે જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગો દ્વારા દેડિયાપાડા અને સાગબારા તાલુકાના ૫૨(બાવન) ગામોમાં આદિમજૂથના પરિવારો વસવાટ કરતા હોય વિવિધ ટીમો દ્વારા સર્વેની કામગીરી ચાલી રહી છે. સર્વે પુરો થયા બાદ આદિમ જૂથના તમામ પરિવારોને સો ટકા સેચ્યુરેશનની દિશામાં લાભો અર્પણ કરી વિકાસની મુખ્ય ધારામાં સમાવેશ કરવાનો પ્રયાસ હાથ ધરાયો છે.
આદિમ જૂથના તમામ પરિવારોને સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાથી સંપૂર્ણ લાભાન્વિત કરી સો ટકા સેચ્યુરેશનની દિશામાં નક્કર કાર્ય કરવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા ‘પીએમ જનમન’ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનને અનુલક્ષીને વડાપ્રધાન આગામી ૧૫મી જાન્યુઆરીના રોજ આદિમજૂથના લાભાર્થીઓ સાથે સંવાદ પણ કરવાના છે. ત્યારે હાલમાં ચાલી રહેલી સર્વેની કામગીરીમાં ભાગીદારી નોંધાવી પુરતો સહકાર આપવા તથા તમામ યોજનાનો લાભ લેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર અપીલ કરાઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશના અને રાજ્યના આદિમ જૂથના વિકાસ માટે “PMPVTG ડેવલપમેન્ટ મિશન” હેઠળ નાણાંકીય અંદાજપત્રમાં ભારત સરકાર દ્વારા ખાસ જોગવાઈ કરવામાં આવી છે. નર્મદા જિલ્લાના સાગબારા અને દેડિયાપાડા તાલુકાના ગામોમાં કોટવાળિયા સહિત વિવિધ આદિમજાતિ જુથના લોકો વસવાટ કરે છે. આ આદિમજૂથના કુટુંબો, ફળિયા અને ગામોમાં માળખાકિય સુવિધા પુરી પાડવાનો મુખ્ય હેતુ આ મિશન હેઠળ રહેલો છે.
જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ઘરે ઘરે જઇને થઈ રહેલી સર્વેની કામગીરીમાં ખાસ કરીને વીજળી, પાણી, રસ્તા, શિક્ષણ, આરોગ્ય અને સરકારશ્રીની પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના, કિસાન સન્માન નિધિ, વનધન યોજના, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશનકાર્ડ, બેન્ક મિત્ર, માતૃવંદના, આયુષ્માન કાર્ડ, પીએમ વિશ્વકર્મા યોજના, સુકન્યા સમૃધ્ધિ યોજના, ઉજ્જવલા યોજના, જીવન જ્યોતિ યોજના, કાસ્ટ સર્ટીફિકેટ, મહેસૂલની યોજના, પશુપાલન, ખેતીવાડીની યોજના, ટ્રાયબલ સબપ્લાન યોજના, પ્રાકૃતિક ખેતી, જેવી યોજનાઓનો ૧૦૦ ટકા લાભ તમામ પરિવારોને મળે તેવું સુદ્રઢ અયોજન નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.