છોટાઉદેપુર, સકીલ બલોચ :-
જિલ્લાના ૮૩ હજારથી વધુ ઘરોની મુલાકાત લઈ ૪ લાખથી વધુ લોકોની તપાસ કરવામાં આવી
જિલ્લામાં ૧ બાળક સહીત રક્તપિતના ૨૯ દર્દીઓ મળી આવ્યા
રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યના ૧૨ જિલ્લાઓમાં તા.૧૦/૦૬/૨૦૪ થી રક્તપિત દર્દી શોધ અભિયાન અંતર્ગત કામગીરી કરવામાં આવી રહી છે.
જે અન્વયે છોટાઉદેપુર જિલ્લાના ૬ તાલુકાના ૫૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, ૩૧૦ આયુષ્માન આરોગ્ય મંદિર અને એક શહેરી આરોગ્ય કેન્દ્રના તાબામાં આવતા તમામ ગામોમાં આશા બહેનો તથા પુરૂષ સ્વયં સેવકોની ૧,૧૧૫ ટીમ દ્વારા ઘરે ઘરે ફરીને રક્તપિતના શંકાસ્પદ કેસ શોધવાની કામગીરી કાર્યરત છે. રક્તપિત દર્દી શોધ અભિયાનની કામગીરી દરમિયાન તા.૧૪/૦૬/૨૦૨૪ સુધીમાં જિલ્લાના ૮૩,૫૫૩ ઘરોની મુલાકાત લઈ ૪,૦૭,૨૫૬ લોકોની તપાસ કરવામાં આવી છે. આ તપાસમાં જિલ્લામાં ૧ બાળક સહીત રક્તપિતના કુલ ૨૯ દર્દીઓ મળી આવ્યા છે, જેમાં ૮ બિન ચેપી તથા ૨૧ ચેપી પ્રકારના કેસ ધ્યાને આવ્યા છે. જેમાં ૧ બાળ દર્દીને ચેપી પ્રકારનો રક્તપિત છે. તમામ દર્દીઓને સારવાર હેઠળ મુકવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, છોટાઉદેપુર જિલ્લામાં રક્તપિત દર્દી શોધ અભિયાન અંતર્ગત તા.૦૪/૦૭/૨૦૨૪ સુધીમાં કામગીરી પૂર્ણ કરવામાં આવનાર છે.