કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મીરઝા :-
કાલોલ તાલુકાના મેદાપુર ગ્રુપ ગ્રામપંચાયતમાં આવેલા જેતપુર ગામમાં છેલ્લા ત્રણ દિવસથી વીજળી ડુલ થઈ જતાં અંધારપટને પગલે ગામલોકોએ રવિવારે રાત્રે એમજીવીએલ કચેરી ખાતે પહોંચી ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. જેતપુર ગામના ગામલોકોના જણાવ્યા અનુસાર પાછલા ત્રણ દિવસથી તેમના ગામમાં અંધારપટ રહેતા લોકો પરેશાન થઈ ગયા છે, જે અંગે છેલ્લા ત્રણ દિવસથી હેલ્પલાઇન પર વાંરવાર કમ્પ્લેન કરવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતા રવિવારે રાત્રે ગામલોકોએ કાલોલ એમજીવીએલ કચેરી ખાતે ઘેરો કરીને ભારે હોબાળો માચાવ્યો હતો અને તાત્કાલિક અસરથી ગામના વીજ પુરવઠો યથાવત કરવા માટે આક્રોશ ઠાલવ્યો હતો. જે ઘટના અંગે વીજ કર્મચારીઓએ મલાવ રૂટ પરની વીજ લાઇનો પર પાછલા ત્રણ દિવસથી જામેલા વરસાદી માહોલને પગલે અનેક જગ્યાએ વૃક્ષો તૂટી પડતાં વીજ પુરવઠો ખોરવાયો હોવાનો હોવાનો ખેદ વ્યક્ત કરીને રવિવારે રાત્રે જ લાઈન સાફ કરીને વીજપુરવઠો આપ્યો હોવાનું કાલોલ એમજીવીએલ વિભાગે જણાવ્યું હતું. જોકે જેતપુર ગામના ગામલોકોએ હોબાળો મચાવ્યો એ પછી જ એમજીવીએલ વિભાગે રાત્રે કામગીરી હાથ ધરી હતી એ સિવાય પાછલા ત્રણ દિવસથી તંત્ર ગલ્લાતલ્લા કરતું હોવાનો આક્ષેપ કર્યો હતો.