છોટાઉદેપુર, શેખ મુઝફ્ફર નજર :-
છોટાઉદેપુર જીલ્લામાં આવેલી એક માત્ર જવાહર નવોદય વિદ્યાલયમાં આજ રોજ સફાઈ અભિયાનના દ્વિતીય ચરણમાં શાળા પરિસર સાફ કરવામાં આવ્યું હતું. શાળાનું આંગણ, આજુબાજુના વિસ્તાર, ગમતળની સાફ સફાઈ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ કરી આ અંગેની એક સ્કીટ શિક્ષકોની મદદ લઈ તેયાર કરી તેનું મંચન સ્કૂલ પરિસરમાં કરવામાં આવ્યું હતું. આ માટે શિક્ષકો, કર્મચારીઓ અને આચાર્ય શેફાલી સીંઘ ભારે જહેમત ઉઠાવી વિદ્યાર્થીઓને તેયાર કર્યા હતા. સ્કીટમાં ઓડીઓ વિઝ્યુઅલ અને વોઈસ ઓવરનો ઉપયોગ કરી ખાસ બેકગ્રાઉન્ડ મ્યુઝીક સાથે સ્કીટ બનાવી હતી. આ બાબતે શાળાના આચાર્ય શેફાલીબહેને જણાવ્યું હતું કે અહી બાળકો ખુબ આત્મનિર્ભર છે અને પોતાનું કામ પોતે જ કરે છે. અમે સ્વચ્છતા બાબતે ખાસ ધ્યાન આપીએ છીએ. વધુમાં જણાવતા તેમણે કીધું હતું કે સ્વચ્છતા એટલે ખાલી બાહ્ય મટીરીઅલ કચરો જ નહિ, પરંતુ આપણા વિચારો, આપણી વાણી આપણા કર્મ પણ સ્વચ્છ હોવા જોઈએ. સરકારશ્રીના સ્વચ્છતા અભિગમને તેમણે આવકાર્યો હતો અને તેમનો એક વીડિઓ સંદેશ પણ આ સાથે લોકો સમક્ષ આપ્યો હતો.