કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-
તાજેતરમાં બિપોરજોય વાવાઝોડાની અસરગ્રસ્ત વિસ્તારો માટે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગર દ્વારા મહંત સદગુરુ શ્રી ભગવત પ્રિયદાસજી સ્વામીજી ની સીધી સુચના અનુસાર ભુજ, માંડવી વિસ્તારમાં કોરો નાસ્તો તેમજ ખીચડી કઢી વિગેરે પૂરું પાડવામાં આવી રહ્યું છે તેમજ રેણાક ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પોરબંદર,જામનગર અસરગ્રસ્ત વિસ્તારમાં ફૂડ વ્યવસ્થા તેમજ શ્રી મુક્ત જીવન સ્વામી બાપા રેસ્ક્યુ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા ત્રણ રેસ્ક્યુ ટીમ મોકલી આપવામાં આવેલ છે.
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા અહીં આસપાસના વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોમાં નિરાધાર લોકોને વિવિધ વસ્તુઓ સાથે સમાવિષ્ટ એવા 12000 ( બાર હજાર) ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત માંડવી તાલુકાના ખાસ અસરગ્રસ્ત ગામો નાના લાયજા, છછી, મોડકુબા વગેરે આસપાસ ગામોમાં 3 દિવસ સુધી ખીચડી, કઢી, રોટલી વગેરે પાકું જમવાનું પહોંચાડવામાં આવશે.
આ પ્રસંગે પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે સહુ કોઈ આ પરિસ્થિતિ માંથી હેમખેમ બહાર નીકળી આવે અને સહુની રક્ષા થાય તેમજ बहु जन हिताय बहु जन सुखाय ની ભાવના સાથે ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરી હતી.