શહેરા,(પંચમહાલ)
પ્રતિનિધિ :- ઇમરાન પઠાણ
પી.આઇ એન.એમ.પ્રજાપતિ , ચીફ ઓફિસર અર્જુનસિંહ પટેલ, એન્જિનિયર જીગ્નેશ શાહ અને સેનેટરી ઇન્સ્પેક્ટર જીતેન્દ્રસિંહ રાઠોડ તેમજ શોપ ઇન્સ્પેક્ટર જીતેન્દ્ર જોષી સહિતનાઓ બજારમાં ચકાસણીએ નીકળ્યા…
અધિકારીઓના ગયા બાદ બજારમાં માનવતાના દુશ્મન એવા અમુક નાસમજ લોકો દ્વારા જેસે થે એવી પરિસ્થિતિ જોવા મળવા સાથે સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું ઉલંઘન કરાતું જોવા મળે છે..
હાલ વિશ્વ સ્તરે ફેલાઈ રહેલા કોરોના વાયરસને લઈને WHO સહીત સમસ્ત દેશની સરકારો ગંભીરતા પૂર્વક કાર્ય કરી રહી છે, તેમછતાં માનવભક્ષી એવા કોરોનાનો કહેર આજે માનવ શરીરને સુંઘતો-સુંઘતો દુનિયાના ખૂણે-ખૂણામાં પહોંચી ગયો છે. ભારતમાં પણ હાલ આથમતા સુરજની દરેક કિરણ દુઃખના સમાચાર મુકીને જાય છે જેના કારણે અંધકાર છવાતા પહેલા માનવ મસ્તકમાં બીકનો અંધકાર છવાઈ જતો હોય છે. આજે દેશ સહીત ગુજરાતભરમાં કોરોના સંક્રમીતોની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો નોંધાઈ રહ્યો છે. જેને ધ્યાનમાં લઈને જીલ્લા પ્રસાશનને લોકડાઉનના નિયમોનું ચુસ્તપણે અમલ થાય એની તકેદારી રાખવાની શરૂઆત કરી દીધી છે પરંતુ અમુક સમયે કોરોના વોરિયર્સ એવા પોલીસકર્મીઓ અને સ્થાનિક તંત્ર લોકડાઉનની અમલવારી માટે બજારોમાં નીકળે છે અને તેઓના ગયા પછી માનવતાના દુશ્મન એવા અમુક નાસમજ લોકો ફરીથી પોતાના કાર્યને જાહેર કરી દેતા હોય છે, જ્યારે અમુક લોકો તો પાછલા બારણેથી દિવસ રાત પોતાનો ધંધો ધીકાવતા રહે છે.
શહેરામા ત્રીજા તબક્કાના લોકડાઉનનુ કડક પાલન થાય તે માટે પોલીસ મથકના પી.આઇ એન.એમ.પ્રજાપતિ , નગરપાલિકાના ચીફ ઓફિસર અર્જુનસિંહ પટેલ, એન્જિનિયર જીગ્નેશ શાહ અને સેનેટરી ઇન્સ્પેક્ટર જીતેન્દ્રસિંહ રાઠોડ તેમજ શોપ ઇન્સ્પેક્ટર જીતેન્દ્ર જોષી સહિતનાઓ સિંધી માર્કેટ , અણીયાદ ચોકડી સહિતના વિસ્તારમાં આવેલ બજારોમાં નીકળ્યા હતા. તંત્રના અધિકારીઓ નીકળ્યા હોવાથી કરીયાણા સહિતના દુકાનદારો નિયમોનું પાલન કરતા નજરે પડતા હોય છે. જ્યારે તંત્રના અધિકારીઓ ગયા બાદ બજાર મા જેસે થે એવી પરિસ્થિતિ જોવા મળવા સાથે સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન ના થતુ જોવા મળતું હોય છે. જ્યારે નગર પાલિકા તંત્ર અમુક દુકાનદારોને આ બાબતે દંડ કરીને પોતાની કામગીરી બતાવતા હોય છે. મહત્વની વાત એ છે કે નગર પાલિકા દ્વારા સવારના ૭ થી ૧૨ વાગ્યા સુધી કરીયાણા સહિતની દુકાનો ખુલ્લી રાખવામાં માટેનો સમય નક્કી કરવામાં આવ્યો હતો. તેમ છતાં નિયત સમય બાદ પણ અમુક કરીયાણાના દુકાનદાર પાછળના ભાગે ખુલ્લી રાખીને તંત્રને છેતરતા હોય છે. નગર પાલિકા સહિતના તંત્ર દ્વારા સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન આવશ્યક ચીજવસ્તુઓ વેચતા દુકાનોમાં થાય તે માટે ગમે તેટલી કાર્યવાહી કરતા હોય છે. તેમ છતાં અમુક દુકાનદારોને તંત્રની કાર્યવાહીથી કોઈ ફરક ન પડતો હોય તેમ હાલમાં જોવા મળતા દ્રશ્ય પરથી ખબર પડી જાય છે. જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડા નગર વિસ્તારમાં આવેલ બજારોમા નિયમોનું કેટલુ પાલન થાય છે કે નહિ તે માટે ઓચિંતી મુલાકાત લેશે ખરી ? આવા ગંભીર પ્રશ્નો હાલ શહેર નગરના સભ્ય સમાજમાં ઉદભવી રહ્યા છે.