ગોધરા.(પંચમહાલ)
પ્રતિનિધિ :-ઈશ્હાક રાંટા
કોરોના સંક્રમણને મર્યાદામાં રાખવા માટે દેશભરમાં લોક ડાઉન અમલી છે અને આવશ્યક સેવાઓ સિવાયના ધંધા-રોજગાર બંધ છે. રોજ કમાઈને ખાનારા લોકોની આવક બંધ થઈ જતા તેઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે અનેક સેવાભાવી વ્યક્તિઓ-સંસ્થાઓએ આ શ્રમિકો-કામદારોને બે ટંકનું ભોજન મેળવવામાં મુશ્કેલી ન પડે તે માટે સરકારના સહયોગમાં કાર્યરત થયા છે. રીંછવાણીના ડો. ઈશ્વરભાઈ બારિયા આવા જ એક સેવાભાવી સજ્જન છે. પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના દામાવાવ-રીંછવાણી વિસ્તારના લોકો કડિયા કામ,મજૂરી સાથે સંકળાયેલા છે. સામાન્ય રીતે તેઓ મજૂરી અર્થે સુરત ,બરોડા તેમજ અન્ય મહાનગરોમાં જઈને રોજી રોટી મેળવતા હોય છે. હાલ લોક ડાઉનના કારણે મજૂરી મેળવવાનું કપરૂ બન્યું છે ત્યારે આ વિકટ પરિસ્થિતમાં આ વિસ્તારના લોકોને ભૂખ્યા ના રહેવું પડે એ માટે રીંછવાણી ખાતે ખાનગી દવાખાનું ચલાવતા ડો.ઈશ્વર ભાઈ બારીયાએ લોકોના સ્વાસ્થ્યની કાળજી લેવા સાથે માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ડો. ઈશ્વરભાઈ છેલ્લા 5 વર્ષ થી રીંછવાણી ખાતે ખાનગી દવાખાનું ચલાવી રહ્યા છે. ખાનગી ડોક્ટર્સ માટે સુંદર ઉદાહરણ પ્રસ્તુત કરતા તેઓ હાલ ચાલી રહેલ કોરોનાના સંકટ વચ્ચે તેઓ સવારે 7 થી 12 વાગ્યા સુંધી પોતાનું કિલનીક ચાલુ રાખી રહ્યા છે. તે ઉપરાંત તેમણે રીંછવાણી ગામના સેવાભાવી યુવાનો તેમજ રીંછવાણી ગામના સરપંચના સહયોગથી ગામના 100 જેટલા જરૂરિયાતમંદ લોકોને રાશન કિટનું વિતરણ કર્યું હતું. આ વિતરણ ટેમ્પરેચર ગનથી હાજર તમામના શરીરનું તાપમાન પણ માપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન લાભાર્થીઓને કોરોના સંક્રમણથી બચવા રાખવી પડતી કાળજીઓ, માસ્ક-સેનેટાઈઝર-સાબુના ઉપયોગ અને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના પગલાઓ અંગે માહિતી આપી હતી.