રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે મીડિયાના પ્રતિનિધિઓ સાથે વીડિયો કોન્ફરન્સ ના માધ્યમથી કર્યો પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ…

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

પ્રાકૃતિક ખેતીના પ્રચાર-પ્રસાર થકી ધરતીમાતા, પર્યાવરણ, પાણી, ગૌમાતા અને જીવમાત્રને બચાવવાનું ભગીરથ કાર્ય કરવા પત્રકારોને રાજ્યપાલશ્રીનો અનુરોધ
વીસી હોલ, છોટાઉદેપુર કલેકટર કચેરીમાં ઉપસ્થિત રહીને તમામ પત્રકારો, રિપોર્ટરો પરિસંવાદમાં જોડાયા છોટાઉદેપુર, તા.૧૮
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષ સ્થાને આજે રાજભવન ખાતેથી મીડિયાના પ્રતિનિધિઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યભરમાંથી પ્રિન્ટ મીડિયા, ઈલેક્ટ્રોનિક મીડિયા અને ડિજિટલ મીડિયાના પત્રકારો વર્ચ્યુઅલ જોડાયા હતા. જ્યારે છોટાઉદેપુરના વિડીઓ કોન્ફરન્સ હોલમાં જીલ્લાના પત્રકારો, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી સહિત કૃષિ વિભાગના અધિકારીશ્રીઓ, આત્મા પ્રોજેકટના અધિકારીશ્રી, માહિતી કચેરીના અધિકારીઓ જોડાયા હતા.
પ્રાકૃતિક ખેતીમાં ગુજરાત રાજ્યમાં છેલ્લા ૨ વર્ષમાં ૭ લાખ ૧૩ હજાર ખેડૂતો જોડાયા છે અને ૧૦લાખ કરતા વધારે ખેડૂતોએ આ વિશેની તાલીમ લીધી છે. રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે રાસાયણિક ખેતીની અસર એટલી હદ સુધી ખરાબ છે કે યુરીયા અને ડીએપીની અસર માતાના દૂધ અને પશુઓના દૂધમાં પણ જોવા મળે છે. એક સફરજનમાં ૧૪ વખત દવાનો છટકાવ થાય છે. આ રાસાયણિક ખાતરના ઉપયોગથી કેન્સર, ડાયાબિટીસ, શારીરિક ખોડખાપણ, જીવલેણ રોગનો ભોગ સમગ્ર માનવજાત બને છે.
આત્મા પ્રોજેક્ટ અને માહિતી નિયામકની કચેરી અંતર્ગત આયોજિત આ પરિસંવાદમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત મિશન પ્રાકૃતિક ખેતીને મહત્તમ અને યોગ્ય પ્રચાર-પ્રસાર થકી જનાદોલન બનાવવા માટે મીડિયાના પ્રતિનિધિઓને અનુરોધ કર્યો હતો. પ્રાકૃતિક ખેતી થકી અસાધ્ય રોગોને દૂર કરી પર્યાવરણ અને જીવ બચાવવાના ઈશ્વરીય કાર્યમાં રાજ્યપાલશ્રીએ મીડિયાના સહયોગની અપેક્ષા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તમે ખેતી ન કરો, પરંતુ આ વાત દરેક ખેડૂત સુધી પહોંચાડવાનું કામ કરી શકો છો. પ્રાકૃતિક ખેતીના સવાહક બનો અને જીવ માત્રના કલ્યાણ માટે આ કાર્યનો પ્રચાર કરો. આ કોઈ રાજનીતિ કે વ્યવસાય નથી. આ પ્રાકૃતિક ખેતીમાં રાસાયણિક ખેતી કરતા ૮૪ ઉત્પાદનમાં પહેલે જ વર્ષે વધારો થાય છે અને ખર્ચમાં ૩૬% જેટલો નોંધપાત્ર ઘટાડો થાય છે.
આ પરિસંવાદમાં ગુજરાતમા પ્રાકૃતિક ખેતી અંગે જે જનજાગૃતિ આવી રહી છે, તેની પ્રશંસા કરી રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતીને જનસમૂહની ચળવળ બનાવવાના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનને વધારે વેગથી ઝીલવાનો આગ્રહ કર્યો હતો. રાસાયણિક ખેતીથી થતા પારાવાર નુકસાનો, જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચેનો તફાવત, પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ જેવા વિષયોને કેન્દ્રમાં રાખીને રાજ્યપાલશ્રીએ ઉદાહરણો અને સંસ્મરણો થકી પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવ્યું હતું.
રાસાયણિક ખેતીના કારણે થતા અસાધ્ય રોગો, બિનઉપજાઉ અને ઉજ્જડ બનતી જમીન અને પર્યાવરણના વિનાશની ચિંતા વ્યક્ત કરતા રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતી સંબંધિત અફવાઓ અને ભ્રમણાઓ તોડવા મીડિયાને પ્રતિનિધિઓને આ ક્ષેત્રમાં મોટી ભૂમિકા અદા કરવા અનુરોધ કર્યો હતો અને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના મહત્વનો પ્રચાર-પ્રસાર કરવા પત્રકારોને પ્રોત્સાહિત કર્યા હતા.
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના માર્ગદર્શન અને રાજ્ય સરકારના હકારાત્મક અભિગમથી પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો પોતાની ખેત પેદાશને સીધી જ ગ્રાહકોને વેચી શકે તે માટે “પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્ર કાર્યરત કરવા એ.પી.એમ.સી. સાથે જોડવામાં આવશે.
રાજભવન ખાતે યોજાયેલા મુખ્ય કાર્યક્રમમાં માહિતી સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ, માહિતી નિયામકશ્રી ધીરજ પારેખ, રાજભવનના પ્રેસ સચિવશ્રી, આત્માના વિશેષ કાર્ય અધિકારીશ્રી દિનેશ પટેલ, કૃષિ વિભાગ અને આત્મા પ્રોજેક્ટના ઉચ્ચ અધિકારીશ્રીઓ તેમજ મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. જયારે દરેક જીલ્લા સ્તર પર વિડીઓ કોન્ફરન્સ હોલમાં સ્થાનિક પત્રકારો, આત્મ પ્રોજેક્ટના ડાઈરેક્ટર, કલેકટર કચેરીના અધિકારીઓ અને માહિતી કચેરીના અધિકારીઓ જોડાયા હતા. આ અંગે આત્મ પ્રોજેક્ટના ડાયરેક્ટરે જણાવ્યુ હતુ કે આ જ અભિયાન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ૬૦ હજાર જેટલા ખેડૂતોને આ વિશેની તાલીમ આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here