રાજયમાં નવા વધુ ૧૨૭ ફરતા પશુ દવાખાના શરુ કરાશે… વધુ ૧૨૭૦ ગામોમાં વિનામૂલ્યે પશુ સારવાર ઉપલબ્ધ થશે :- પશુપાલન મંત્રીશ્રી રાઘવજી પટેલ

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

હાલમાં ૫૨૯૮ ગામોમાં ૪૬૦ મોબાઈલ પશુ દવાખાના થકી વિનામૂલ્યે પશુ સારવાર ઉપલબ્ધ

રાજ્યમાં ૧૦ ગામ દીઠ એક મોબાઈલ પશુ દવાખાના યોજના અમલી

કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬૨” દ્વારા ૩૧ શહેરોમાં પશુઓને તાત્કાલિક સારવાર ઉપલબ્ધ

ગુજરાતમાં વર્તમાન પશુ આરોગ્ય સેવાઓના વિસ્તૃતિકરણ માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર દ્વારા પ્રથમ તબકકામાં ૧૨૭ નવા ફરતા પશુ દવાખાનાઓ મંજુર કરવામાં આવ્યા છે. આ નવીન ૧૨૭ પશુ દવાખાના કાર્યરત થતાં રાજ્યના ૧૨૭૦થી વધુ ગામોમાં ઓન કોલ ઇમરજન્સી ધોરણે અને રૂટના ગામોમાં ગામ બેઠાં પશુપાલકોને વિના મુલ્યે પશુસારવાર ઉપલબ્ધ થશે. જેથી પશુઓની આરોગ્યમાં વધુ સુધારો થતા દૂધ ઉત્પાદન વધશે અને પરિણામે રાજયના પશુપાલકો ની સુખાકારી અને સમૃદ્ધિમાં વધારો થશે તેમ પશુપાલન મંત્રીશ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું.

મંત્રીશ્રીએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતમાં હાલમાં શહેરી વિસ્તારમાં ૩૭ “કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ- ૧૯૬૨” તથા “૧૦ ગામ દીઠ એક મોબાઇલ પશુ દવાખાના યોજના” હેઠળ કુલ ૪૬૦ જેટલા ફરતા પશુ દવાખાનાઓ પીપીપીના ધોરણે GVK- EMRI મારફતે સફળતાપુર્વક વિનામૂલ્યે સેવા આપી રહ્યા છે. “કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬૨” દ્વારા રાજ્યના કુલ ૩૧ શહેરોમાં નધણિયાતા પશુઓને ઇમરજન્સી ધોરણે સારવાર આપવામાં આવે છે જ્યારે ૪૬૦ મોબાઇલ પશુ દવાખાના થકી રાજ્યના ૫૨૯૮ ગામોમાં ઓન કોલ ઇમરજન્સી ધોરણે અને રૂટના ગામોમાં ગામ બેઠા પશુપાલકોને વિના મુલ્યે પશુસારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

તેમણે કહ્યું હતું કે, ગુજરાત સરકારના સફળ અમલીકરણ ના ધોરણે કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં ફરતા પશુ દવાખાનાની યોજના અમલમાં મુકવામાં આવી છે. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા વાહન ખરીદી સહિતના કેપિટલ ખર્ચ માટે ૧૦૦% સહાય જયારે કે એકમો ચલાવવા માટેના ઓપરેશન ખર્ચના ૬૦ % કેન્દ્ર સરકાર અને ૪૦% રાજય સરકારન ધોરણે સહાય આપવામાં આવે છે.

અગાઉના ૩૭ “કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬૨” તથા ૪૬૦ ફરતા પશુદવાખાના ઓના ધોરણ મુજબ પીપીપીના ધોરણે GVK-EMRI મારફતે વધુ ૧૨૭ ફરતા એકમો પણ કાર્યરત કરવામાં આવશે. ૧૨૭ નવા ફરતા પશુ દવાખાના માટે કેપિટલ ખર્ચ પેટે રૂ. ૮.૮૯ કરોડ જયારે ઓપરેશન ખર્ચ માટે દર વર્ષે રૂ. ૧૭ કરોડની જોગવાઈ મંજૂર કરવામાં આવી છે.

મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, આ યોજનાના તમામ વાહનોમાં જીપીએસની સુવિધા હોવાથી ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રી ના ડેશબોર્ડ મારફતે યોજનાનું રીયલ ટાઈમ મોનિટરીંગ પણ કરવામાં આવશે. કુદરતી અને માનવ સર્જીત આફતના સમયમાં પણ આ એકમો દ્વારા અવિરત સેવાઓ આપવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here