પાવાગઢના સાંનિધ્યમાં મંત્રીશ્રી બચુભાઈ ખાબડની અધ્યક્ષતામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

વિશ્વ પર્યાવરણ દિવસ : પ્રકૃતિનું જતન અને પર્યાવરણની જાળવણી,દરેક નાગરિકની ફરજ

દરેક વ્યક્તિ પાંચ વૃક્ષો ઉછેરીને તેનું સંવર્ધન કરે,સરકારશ્રીના પ્રયત્નોથી રાજ્યમાં ૩૩ ટકા વન વિસ્તાર ફેલાવવા તરફ આગેકૂચ- મંત્રીશ્રી બચુભાઈ ખાબડ

પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢ ખાતે રાજ્યના પંચાયત અને કૃષિમંત્રીશ્રી બચુભાઈ ખાબડની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાના વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રીશ્રીના હસ્તે પાવાગઢ તળેટી ખાતે સ્થિત શ્વેતાંબર જૈન મંદિર ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત શાળાની બાળાઓ દ્વારા પ્રાર્થના ગીત, સ્વાગત અને દીપ પ્રાગટય થકી કરાઈ હતી.આ પ્રસંગે મિશન લાઇફની સામૂહિક ગતિશીલતા કાર્યક્રમની પણ ઉજવણી કરાઈ હતી.

આ તકે મંત્રીશ્રી બચુભાઈ ખાબડે પોતાના ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, આજે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગ સમસ્યાનો સામનો કરી રહ્યુ છે અને ઋતુઓમાં પણ બદલાવ આવ્યો છે ત્યારે આપણે સૌ કોઈ સાથે મળીને પર્યાવરણ અને વૃક્ષોનું જતન અને સંવર્ધન કરીએ. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના પર્યાવરણ અંગેના દૂરદંશી વિચારો અને નક્કર પગલાંને પરિણામે ગુજરાતમાં સૌપ્રથમ સોલારપાર્કની સ્થાપના કરાઈ હતી.આજે સરકારશ્રીના અથાગ પ્રયત્નોથી ગુજરાતમાં ધાર્મિક સ્થળો સહિત ૭૦થી પણ વધુ વનો તૈયાર કરીને પર્યાવરણના જતન તરફ આગળ વધી રહ્યા છીએ. વનનીતિ અનુસાર ગુજરાત ૩૩% વનવિસ્તાર તરફ આગળ વધી રહ્યું છે. તેમણે પર્યાવરણને લઈને વન વિભાગની કામગીરીને બિરદાવી હતી.

મંત્રીશ્રીએ દરેક વ્યક્તિને પાંચ વૃક્ષો વાવવા અને તેનું સંવર્ધન કરવા હાકલ કરી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને પર્યાવરણનું જતન કરવા માટે સામૂહિક શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા.આ તકે ઉપસ્થિતોએ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના અંબાજીથી રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.મંત્રીશ્રી અને વિવિધ મહાનુભાવો દ્વારા પાવાગઢ શ્વેતાંબર જૈન દેરાસર ખાતે વૃક્ષારોપણ કર્યું હતું અને વૃક્ષ રથનું પ્રસ્થાન કરાવ્યું હતું.

આ પ્રસંગે નાયબ વન સંરક્ષકશ્રી એમ.ડી.જાની દ્વારા મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત અને આર.એફ.ઓ હાલોલ નિધિબેન દ્વારા આભારવિધિ રજૂ કરાઈ હતી.

પાવાગઢ ખાતે આયોજિત કાર્યક્રમમાં પ્રાકૃતિક યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરશ્રી ટીંબાડીયા,જિલ્લા પંચાયત પ્રમુખ કુ.કામિનીબેન સોલંકી,હાલોલ ધારાસભ્યશ્રી જયદ્રથસિંહ પરમાર,અધિક અગ્ર વન સંરક્ષકશ્રી જયપાલસિંહ,જિલ્લા કલેકટરશ્રી આશિષકુમાર,ગોધરા નાયબ વન સંરક્ષકશ્રી મીણા,પ્રાંત અધિકારીશ્રી,હાલોલ સહિત મોટી સંખ્યામાં વનવિભાગના અધિકારીઓ/કર્મચારીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here