પંચમહાલ જીલ્લામાં કમોસમી વરસાદની સંભાવનાને લઈને ખેડૂત મિત્રોએ રાખવાની થતી સાવચેતી

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

હવામાન વિભાગ દ્વારા મળેલ સુચના મુજબ આગામી તારીખ ૧૧/૦૬/૨૩ સુધી રાજ્યના જીલ્લાઓ પૈકી પંચમહાલ જીલ્લામાં કમોસમી વરસાદ પડવાની સંભાવના હોય
પંચમહાલ જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડુતોને જરૂરી તકેદારીના પગલા લેવા તાકીદ કરવામાં આવે છે. બાગાયતી પાકને નુકસાનથી બચાવા ખેતરમાં કાપણી કરેલ બાગાયતી પાક ખુલ્લા હોય તો તેને તાત્કલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા તાડપત્રી/પ્લાસ્ટીકથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવા જરૂરી પગલાં લેવા જણાવ્યું છે.
આંબાની ખેતી કરતા ખેડુત મિત્રોએ ઉત્પાદન અવસ્થાએ કેરીને ઉતારીને સુરક્ષિત સ્થાને સંગ્રહ કરવી,પપૈયા તથા જામફળ જેવા ફળ પાકોમાં ટેકા આપવા તથા થડની આજુબાજુ માટી ચઢાવવી,બાગાયતી પાકોમાં પિયત આપવાનું ટાળવું.જંતુનાશક દવા અને રાસયણિક ખાતરનો ઉપયોગ આ સમયે ટાળવો.વધુમાં વરસાદ બાદ ફળ,ફુલ અને શાકભાજી પાકોમાં રોગ જીવાતનો ઉપદ્રવ વધે તેવું જણાય તો યોગ્ય નિયંત્રક પગલા લેવા.

એપીએમસીમાં વેપારી મિત્રો અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલાં લેવા અનુરોધ કરવામાં આવે છે. માર્કેટયાર્ડમાં આ દિવસોમાં ખેત પેદાશો ખુલ્લી જગ્યામા ન રાખતા સુરક્ષિત સ્થળે રાખવા જિલ્લા નાયબ બાગાયત નિયામકશ્રી ગોધરાએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here