ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-
જિલ્લા સ્વાગતમાં કુલ ૧૩ અરજદારોની અરજીઓનો કરાયો હકારાત્મક નિકાલ
અરજદારોના પ્રશ્નોનો ઝડપી નિકાલ લાવવા સંલગ્ન વિભાગના અધિકારીઓને તાકિદ કરતા જિલ્લા કલેકટરશ્રી
પંચમહાલ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં દર મહિને યોજાતો સ્વાગત કાર્યક્રમ જિલ્લા કલેક્ટરશ્રી આશિષ કુમારના અધ્યક્ષસ્થાને આજે તા.૨૭મી જુલાઇ, ૨૦૨૩ને ગુરુવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ‘જિલ્લા સ્વાગત કાર્યક્રમ’ યોજાયો હતો. ૧૩ જેટલા અરજદારોએ જિલ્લા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા અને નિકાલની સુનાવણીમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં મુખ્ય રજુઆતમાં જિલ્લાના નાગરિકો દ્વારા મુખ્યત્વે જમીન માપણી, અનઅધિકૃત બાંધકામ અને દબાણ દૂર કરવા,વરસાદી પાણીનો નિકાલ,પોલીસ ફરિયાદને લગતા પ્રશ્ન,ખેડૂત ખરાઈ અંગે પ્રશ્ન,બેન્કિંગ ક્ષેત્રને લગતા પ્રશ્ન રજૂ કરાયા હતા. જિલ્લા કલેક્ટરશ્રીએ અરજદારોની ફરિયાદો અને રજૂઆતોને શાંતિથી સાંભળી હતી અને તેમના પ્રશ્નોનોનો ઝડપી નિકાલ આવે તે અંગે સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓને સ્થળ પર તાકિત કરી જરૂરી સૂચનાઓ આપી હતી અને હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.
આ બેઠકમાં જિલ્લા પોલીસ વડાશ્રી હિમાંશુ સોલંકી,નિવાસી અધિક જિલ્લા કલેકટરશ્રી એમ.ડી.ચુડાસમા,નાયબ વન અધિકારીશ્રી,પ્રાંત અધિકારીશ્રીઓ સહિત સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.