ગોધરા, (પંચમહાલ) નવાઝ શેખ :-
પંચમહાલ જિલ્લામાં વધુમાં વધુ લોકો ખેલ મહાકુંભ ૨.૦માં રજીસ્ટ્રેશન કરીને પોતાની ભાગીદારી નોંધાવે તે માટે અનુરોધ કરતા જિલ્લા કલેકટરશ્રી
ખેલમહાકુંભ ૨.૦માં વિવિધ રમતોમાં વિજેતા થનાર ખેલાડીઓને કુલ ૪૫ કરોડ રૂપિયાના ઇનામો આપવામાં આવશે
અમદાવાદ ખાતેથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેલ મહાકુંભ ૨.૦ના રજીસ્ટ્રેશન કર્ટેઇન રેઇઝર ઇવેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો તથા ખેલ મહાકુંભ ૨.૦ની રજીસ્ટ્રેશન લિંક તથા ટોલ ફ્રી નંબરને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.ખેલમહાકુંભ ૨.૦માં ભાગ લેવા ઇચ્છુક યુવાનો https://khelmahakumbh.Gujarat.gov.in પર ઓનલાઇન રજીસ્ટ્રેશન તથા ૧૮૦૦ ૨૭૪ ૬૧૫૧ ટોલ ફ્રી નંબર પર સંપર્ક કરીને વધુ માહિતી મેળવી શકે છે.
પંચમહાલ જિલ્લામા પણ ખેલ મહાકુંભ ૨.૦ના સુચારુ આયોજન અને રજીસ્ટ્રેશન બાબતે જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમારના અધ્યક્ષતામાં સબંધિત અધિકારીગણ સાથે કલેક્ટર કચેરી,ગોધરા ખાતે બેઠક યોજાઇ હતી.આ તકે જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે,જિલ્લામાં ખેલ મહાકુંભ ૨.૦નું રજીસ્ટ્રેશન ચાલુ થઈ ગયેલ છે ત્યારે વધુમાં વધુ લોકો,વિદ્યાર્થીઓ જોડાય આ સાથે શાળાઓ, આઈ.ટી.આઈ,કોલેજ અને યુનિવર્સિટીમાં પ્રચાર પ્રસાર થકી વધુમાં વધુ રજીસ્ટ્રેશન થાય તે માટે અનુરોધ કરાયો હતો.ખેલમહાકુંભ ૨.૦માં વિવિધ રમતોમાં વિજેતા થનાર ખેલાડીઓને કુલ ૪૫ કરોડ રૂપિયાના ઇનામો આપવામાં આવશે.
જિલ્લા કલેકટરશ્રીએ વધુમાં જણાવ્યું કે,ખેલ મહાકુંભ જેવી સ્પર્ધાઓ બાળકોમાં રમત પ્રત્યેની રસ – રુચિ વધારવામાં મોટો ભાગ ભજવે છે,બાળકો પ્રેરણા મેળવે છે.આ સાથે ભવિષ્યમાં કારકિર્દી ઘડવાના અવસર પણ સિધ્ધ થાય છે.
પંચમહાલ જિલ્લામાં પાછલા વર્ષે ખેલ મહાકુંભમાં ૧ લાખથી વધુ લોકોના રજીસ્ટ્રેશન થયા હતા.ચાલુ વર્ષે આ લક્ષ્યાંક ૧.૨૦ લાખ રાખવામાં આવ્યો છે.ઓનલાઇન રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ ૧૮/૧૦/૨૦૨૩ છે. પંચમહાલ જિલ્લાના લોકોને ખેલ મહાકુંભ ૨.૦માં રજીસ્ટ્રેશન કરીને પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરવા તંત્ર દ્વારા અપીલ કરાઈ છે.