પંચમહાલ જિલ્લામાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત તા. ૯મી ઓગષ્ટથી ’મારી માટી, મારો દેશ’ કાર્યક્રમનો આરંભ થશે

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

માતૃભૂમિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવી તેમજ વીર શહીદોની વંદના અને તેમના પરિવારજનોનું સન્માન કરવા જનશક્તિને પ્રેરિત કરાશે

ગ્રામ્ય કક્ષાથી નવી દિલ્હી સુઘી યોજાશે ’મારી માટી, મારો દેશ’ યોજાશે

મુખ્ય સચિવશ્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલ વિડિયો કોન્ફરન્સમાં જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમાર સહિતના અધિકારીઓ જોડાયા

સમગ્ર દેશ સહિત પંચમહાલ જિલ્લામાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત મારી માટી- મારો દેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ આગામી ઓગષ્ટ માસ તા. ૦૯ થી આરંભ થશે. સમગ્ર કાર્યક્રમ માટીને નમન, વીરોને વંદન થીમ પર રાજયભરમાં કરવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત માતૃભૂમિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા તેમજ વીર શહીદોની વંદના અને તેમના પરિવારોનું સન્માન કરવા જનશક્તિને પ્રેરિત કરાશે. આ માટે ગ્રામ કક્ષા થી નવી દિલ્હી સુઘી કાર્યક્રમો યોજાશે.
આજરોજ આ કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી સમગ્ર રાજયમાં થાય તેવા ઉમદા આશયથી રાજ્યના મુખ્ય સચિવશ્રીના અધ્યક્ષસ્થાને વિડિયો કોન્ફરન્સ યોજાઇ હતી. જેના અનુસંધાને પંચમહાલ જિલ્લામાં આ કાર્યક્રમના સુચારું આયોજન અર્થે જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમારના અધ્યક્ષસ્થાને જિલ્લાના અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ તથા બેઠક યોજાઇ હતી.
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લામાં યોજાનાર મારી માટી – મારો દેશ કાર્યક્રમનો આરંભ તા. ૦૯મી ઓગષ્ટના રોજથી થશે. આ કાર્યક્રમ ગ્રામ્ય સ્તરથી આરંભ કરવામાં આવશે. ગ્રામ્ય સ્તરે આ કાર્યક્રમમાં વધુને વધુ લોકો સહભાગી બને તે માટેનો ઉમદા ભાવ રાખવામાં આવ્યો છે. ગ્રામ્ય સ્તર ખાતે જે તે ગામની માટી લઇ કળશમાં મુકવામાં આવશે. તેની સાથે શિલાફલકમ બનાવવામાં આવશે. આ શિલાફલકમમાં ગામના આઝાદી સમયમાં બિલદાન આપનાર શહીદ વીરો સાથે સાથે દેશ માટે પોતાનો જીવ આપનારા લશ્કર કે પોલીસના જવાનોના નામ લખવામાં આવશે. શિલાફલકમને અમૃત સરોવર, જળાશય કે શાળા-કોલેજા જેવા જાહેર સ્થળે ગામની માટી અને પથ્થરથી ઉભી કરવામાં આવશે.
આ સમગ્ર ઉજવણી દરમિયાન પાંચ કાર્યક્રમો યોજાશે. જેમાં શિલાફલકમનું લોકાર્પણ ઉપરાંત નાગરિકો પંચપ્રણ સંદર્ભે સામૂહિક શપથ ગ્રહણ કરશે. જેની સેલ્ફી વેબસાઇડ પર અપલોડ કરી શકાશે. આ પ્રસંગે વસુઘાવંદન કાર્યક્રમ થકી માતૃભૂમિને લીલીછમ બનાવવા માટે ગામના મહત્વના સ્થળ ખાતે ૭૫ વૃક્ષોનું વૃક્ષારોપણ કરી અમૃત વાટિકાનું નિર્માણ કરાશે. વીરોને વંદન કાર્યક્રમ થકી આઝાદીના શહીદો કે દેશ માટે બલિદાન આપનાર જવાનોના પરિવારોનું સન્માન કરવામાં આવશે. તેમજ ઘ્વજવંદન અને રાષ્ટ્રગાન કરવામાં આવશે.
આ કાર્યક્રમ અંતર્ગત તાલુકાના તમામ ગામની માટી એકઠી કરવામાં આવશે. તેમજ દરેક તાલુકામાંથી એક નવયુવાન પોતાના ટ્રેડિશનલ ડ્રેસ સાથે તાલુકા કક્ષાએથી માટીનો કળશ લઇ દિલ્હી ખાતે યોજાનાર કાર્યક્રમમાં જશે. દિલ્હી ખાતે કર્તવ્યપથ પર સમગ્ર દેશના તાલુકા મથકેથી માટીના કળશ લઇને આવેલા યુવાનોનું એકત્રીકરણ થશે. પ્રધાનમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમ યોજાશે. સમગ્ર ગુજરાત સાથે પંચમહાલ જિલ્લામાં આ કાર્યક્રમના આયોજન માટે સઘન કામગીરી હાથ ઘરશે.
આજની મુખ્ય સચિવશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલ વિડિયો કોન્ફરન્સમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારીયા,જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી,નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એચ.ટી.મકવાણા,વન અધિકારી શ્રી મીના, પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી ગાયત્રીબેન પટેલ સહિત સબંધિત અધિકારીશ્રીઓ જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here