ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-
જિલ્લા કલેક્ટરશ્રી સુજલ મયાત્રાનાં અધ્યક્ષસ્થાને સેવાસદન, ગોધરા ખાતે જિલ્લા તકેદારી સમિતીની બેઠક યોજાઈ હતી. ગાંધીનગર ખાતે નવીન શરૂ થયેલ ડાયરેક્ટર ઓફ પ્રોસીક્યુશન કચેરીનાં ઈન્ચાર્જ ડાયરેક્ટરશ્રી રાકેશ રાવ બેઠકમાં વિશેષરૂપથી ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ઓક્ટોબર-2021થી ડિસેમ્બર-2021નાં સમયગાળા દરમિયાન અનુ. જાતિ/અનુ.જન જાતિ પર બનેલા અત્યાચારનાં બનાવો, ભોગ બનનારને આર્થિક સહાયની વિગતો, આ સંદર્ભે કરાયેલ કામગીરી, અનુ. જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ 1989નાં અસરકારક અમલ સહિતની બાબતો અંગે વિગતવાર સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત, એટ્રોસિટીનાં પેન્ડિંગ કેસો, કેસો પેન્ડિંગ હોવાનાં કારણો, તાલુકા સમિતીની બેઠકો વિશે જિલ્લા કલેક્ટરશ્રીએ ઝીણવટભરી માહિતી મેળવતા જરૂરી દિશા-નિર્દેશો કર્યા હતા. બેઠકમાં ડાયરેક્ટરશ્રી રાવે એટ્રોસિટી સહિતનાં અનુ.જાતિ/જનજાતિ પરનાં અત્યાચારનાં બનાવો સંદર્ભે કેસો ઝડપથી ચાલે, ખોટા કેસો પકડાય, સાચા કેસોમાં આરોપીને ઝડપથી સજા થાય તે માટે જરૂરી બાબતો અંગે માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્જુનસિંહ બી. રાઠોડ, જિલ્લા પોલિસ વડા ડો. લીના પાટિલ, ડિવાયએસપી(એસસી/એસટી સેલ)શ્રી એસ. રાઠોડ, ડિવાયએસપીશ્રી સી. સી. ખટાણા, સરકારી વકીલશ્રી ઠાકોર, સામાજિક ન્યાય સમિતીનાં ચેરમેનસુશ્રી મણિબેન સહિતના તકેદારી સમિતીનાં સભ્યશ્રીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.