પંચમહાલ,ગોધરા સ્થિત GMERS મેડીકલ કોલેજ ખાતે દેહદાન સ્વીકારવાનો પ્રારંભ કરાયો

ગોધરા, (પંચમહાલ)-ઇશહાક રાંટા :-

એનાટોમી વિષયના વિદ્યાર્થીઓના તબીબી અભ્યાસક્રમ હેતુ લોકોને દેહદાન કરવા અંગે કરાઈ અપીલ

પંચમહાલ,ગોધરા સ્થિત GMERS મેડીકલ કોલેજ ખાતે હાલમાં ૧૦૦ વિદ્યાર્થીઓ એમ.બી.બી.એસ.નો અભ્યાસ કરી રહ્યા છે.ચાલુ વર્ષે સપ્ટેમ્બર માસથી આગામી સત્રમાં વધુ ૧૦૦ વિદ્યાર્થી અહીં અભ્યાસ કરવા માટે આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અભ્યાસક્રમમાં પ્રથમ વર્ષ દરમિયાન જ એનાટૉમી વિષયના તબીબ વિદ્યાર્થીઓ માટે માનવ દેહની જરૂર રહેતી હોય છે.તેના અનુસંધાને પ્રથમવાર એનાટૉમી વિભાગે તબીબી વિદ્યાર્થીઓના અભ્યાસ માટે દેહદાન સ્વીકારવાનો પ્રારંભ કરાયો છે. દેહદાન અંગેની સમગ્ર પ્રક્રિયા ડીન શ્રી ડૉ. રાકેશ રજત તથા મેડીકલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ.મોના પંડયાના માર્ગદર્શન હેઠળ પુરી કરવામાં આવી છે. દેહદાન કરવા બદલ ડો.જય કોન્ટ્રાક્ટર દ્વારા સ્વ.અનુસુયાબેન જયેન્દ્ર શાહ તથા તેમના પરિવારજનોનો આભાર વ્યક્ત કરાયો હતો. તદ્દઉપરાંત ગોધરા ખાતેની જાહેર જનતાને દેહદાન અંગે જાગૃતતા આવે તથા વધુમાં વધુ દેહદાન કરવાની સવિનય અપીલ મેડિકલ કોલેજ તરફથી કરાઈ છે. દેહદાન એ તબીબી અભ્યાસક્રમ તથા તબીબી સંશોધન માટે એક આશીર્વાદરૂપ પ્રવૃત્તિ હોય છે. જેને માટે સમગ્ર તબીબી સમાજ દેહદાન કર્તાઓનો ઋણી રહે છે.
મૃત્યુ બાદ જે તે વ્યક્તિના સગા-સંબંધી મૃત્યુ પામનારનું દેહદાન કરી શકે છે. આ સાથે જીવીત વ્યક્તિ પણ દેહદાનનો સંકલ્પ લઈ શકે છે. દેહદાન બદલ કોલેજ તરફથી પરિવારજનોને પ્રમાણપત્ર આપવામાં આવે છે. વધુ માહિતી માટે એનાટૉમી વિભાગ, GMERS મેડીકલ કોલેજ, પંચમહાલ,ગોધરાનો સંપર્ક ડો.જય કોન્ટ્રાક્ટર મો.નંબર ૯૯૯૮૦૭૦૩૮૯, ડો.ઊર્મિલા પટેલિયા મો.નંબર ૯૭૨૭૭૧૭૬૪૦ તથા ડો. મીનલ રાવત મો.નંબર ૯૪૨૮૦૨૮૧૮૪ પર સંપર્ક કરવા GMERS મેડિકલ કોલેજના ડીન ડૉ.રાકેશ રજત દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here