છોટાઉદેપુર, ચારણ એસ વી :-
જીલ્લા કલેકટરશ્રી સ્તુતિ ચારણના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે કાર્યક્રમોના સુચારૂં આયોજન અંગે માર્ગદર્શન આપ્યું હતું તેમજ તમામ સંકલનના અધિકારીઓને ફિલ્ડ પર જઈ સુપરવીઝન કરવા સુચન કર્યું હતું. આ મીટીંગમાં ત્રણ ધારાસભ્યો શ્રી અભેસિંહભાઈ તડવી, શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા, તેમજ શ્રી જયંતીભાઈ રાઠવાએ પ્રજાલક્ષી પ્રશ્નો અને જિલ્લાના વિવિધ વિભાગોના આંતરિક કાર્યો અંગે પ્રશ્નોત્તરી કરી સંતોષકારક જવાબો મેળવ્યા હતા.
આ બેઠકમાં સંખેડા વિધાનસભાના ધારાસભ્યશ્રી અભેસિંહભાઈ તડવીએ જણાવ્યું હતુ કે લોકપ્રશ્નોનું અગ્રીમતાના ધોરણે નિરાકરણ લાવવા પ્રયત્નો કરે. આ બાબતે કલેકટરશ્રીએ તમામ અધિકારીઓને હકારાત્મક અભિગમથી કામનો નિકાલ લાવવા અભિપ્રાય આપ્યો હતો. બેઠકમાં ધારાસભ્યો દ્વારા વન અધિકાર અધિનિયમ-૨૦૦૬ અંગે દવા અરજીઓ, કયા લેવલ પર કેટલી અરજીઓ છે, દાવેદાર લાભાર્થીઓની યાદી તેમજ વન અધિકાર પત્રો અને સનદોની નકલો બાબતે માંગણી કરી કરી હતી. શ્રીરાજેન્દ્રસીહ રાઠવાએ બોડેલી અને તારાપુરમાં કુમાર/કન્યા છાત્રાલયના નિર્માણ માટે પૃચ્છા કરી હતી. તેમજ શ્રીજયંતીભાઈએ કવાંટ અને બોડેલી તાલુકાના ૧૫માં નાણાપંચમાં થયેલા કામોની વિગત માંગી હતી.
આ ઉપરાંત ઉનાળાનો સમય આવે તે પહેલા સિચાઈ કચેરીને સંપ/ટાંકીઓ, હેન્ડપંપ જેવી પાણીની વાવસ્થા માટે ફેબ્રુઆરી-૨૦૨૪ પહેલા આયોજન કરી જેથી ઉનાળામાં જીલ્લાના નાગરિકોને પાણીની સમસ્યા ન નડે. આ બાબતે કલેકટર કચેરીમાં દર અઠવાડિયે અહેવાલ રજુ કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત એમ.જી.વી.સી.એલને પણ ઉનાળાના સમયમાં લાઈટ કાપ જ રહે તેની જોગવાઈ કરવા જણાવ્યું હતું. ડીડીઓશ્રીએ કલેકટરશ્રી અને ધારાસભ્યોશ્રીને નવેમ્બર માસમાં થયેલા માવઠાને લઈને જીલ્લામાં થયેલા નુકસાનના સર્વે કામગીરીની વિગતો પૂર્ણતાના આરે છે તેની માહિતી આપી હતી. ધારાસભ્યોએ જણાવ્યું કે સરકારની કક્ષાએ નુકસાન થયેલ જમીનના ખેડૂતોને સહાય થાય તેવો આપણો સૌનો ઉદ્દેશ છે.