છોટાઉદેપુર, ચારણ એસ વી :-
છોટા ઉદેપુર ના ફતેપુરા ખાતે આવેલ સ્વામિનારાયણ સત્સંગ હૉલ માં જીલ્લા શિક્ષણ સમિતિ દ્વારા શિક્ષક સજ્જતા વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં છોટા ઉદેપુર જીલ્લા ના છ તાલુકાના બોડેલી, છોટા ઉદેપુર, સંખેડા , કવાંટ, નસવાડી અને પાવી જેતપુર ના ૧૪૦૦ જેટલાં શિક્ષકો હાજર રહ્યા હતા. સરકારમાં આઇ એ એસ ડૉ. ધવલ પટેલ દ્વારા કરેલ રિપોર્ટ બાદ છોટા ઉદેપુર ના શિક્ષણ તંત્ર ની પોલ ખુલી છે. જે રિપોર્ટ સરકાર માં પહોંચતા શિક્ષણ વિભાગ સફાળું જાગ્યું છે. છોટા ઉદેપુર ખાતે વર્કશોપ માં જીલ્લા ના શીક્ષકો ને શાળાકીય યોજનાઓ, વિદ્યાર્થીઓ નો વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ, વિદ્યાર્થી ઓ ની કેળવણી માટે ચાલતી કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન અને તેની અમલવારી અંગે ચર્ચાઓ થઈ હતી. અને હાજર શિક્ષકો એ માર્ગદર્શન મેળવ્યું હતું. જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત સદર વર્કશોપ માં શિક્ષકો ને અપાતા એવોર્ડ્સ, સ્પર્ધાત્મક પરીક્ષા, સ્કોલરશીપ યોજનાઓ, શિક્ષકો ની મૂળભૂત ફરજો વિષે ચર્ચા કરવામાં આવી હતી. સદર કાર્યક્ર્મ માં શિક્ષકો નો પ્રિ ટેસ્ટ તથા પોસ્ટ ટેસ્ટ પણ લેવામાં આવ્યો હતો. એક આઇ એ એસ ઓફિસર ના રિપોર્ટ બાદ સમગ્ર છોટા ઉદેપુર જીલ્લા નું શિક્ષણ તંત્ર ભારે હરકત માં આવી ગયું છે.
છોટા ઉદેપુર જીલ્લા ની શાળાઓમાં ધોરણ ૧૦ અને ૧૨ ના પરિણામો નબળા આવતાં હોય જે પાયા ના શિક્ષણ ને નબળું સાબિત કરે છે. આઈ એ એસ ઓફિસર ડૉ. ધવલ પટેલ નો રિપોર્ટ મુજબ જે શાળાઓમાં શિક્ષણ સારું છે તેના વખાણ પણ કર્યા છે અને જ્યાં કથળેલું શિક્ષણ છે તેની ટીકા પણ કરવામાં આવી છે. જે એક સરાહનીય બાબત છે. તેમાં કશું ખોટું કીધું નથી. છોટા ઉદેપુર પંથકના ઘણાં બધાં ગામોમાં શાળા ઓનાં ઓરડા જર્જરિત છે. જે લાંબા સમયથી નવા બન્યા નથી શાળા ઓમા ઓરડા ઓની ઘટ છે. અંતરિયાળ વિસ્તારમાં મોબાઈલ ના નેટવર્ક આવતાં નથી શીક્ષકો ને શાળા એ પહોંચવામાં ભારે અગવડ પણ પડતી હોય છે. જ્યારે ઘણાં બાળકો પણ ચોમાસા જેવાં સમયમાં શાળા એ પહોંચી શકતા નથી જે પરિસ્થિતિ પણ શિક્ષણ ની એક કમજોરી કહી શકાય પરતું બાળક ના ભવિષ્ય ને ધ્યાનમાં લઇ તેને ઉત્તમ શિક્ષણ આપવું એ દરેક શિક્ષક ની પ્રાથમિક ફરજ છે. જેને દરેક શિક્ષકે નિભાવવી જરુરી છે. વાલી પોતાના બાળકને અભ્યાસ અર્થે શાળા એ એક વિશ્ર્વાસ થી મોકલતો હોય છે. પરતું તેને યોગ્ય શિક્ષણ ન મળે તે ભારે દુઃખ જનક વાત છે. જે અર્થે તંત્રએ પરિસ્થિતિ સુધારવા ગળાડૂબ મહેનત કરવી પડશે. ગુલ્લીબાજ શિક્ષકો ઉપર કમાંડ કસવો પડશે. શાળાએ નિયમીત શિક્ષક પહોંચે છે કે નહીઁ અને પૂરો સમય શાળા માં વિતાવે છે કે નહી તે તંત્રએ તપાસ કરવી એ જરુરી છે એવી પ્રજાની માંગ છે.
શિક્ષકો એ કર્તવ્યનિષ્ઠ રહીં અને કાર્યદક્ષતા વધારવી પડશે. અને શિક્ષણ કાર્યમાં ઉંડો રસ લઈ કામગીરી કરવી ખૂબ જરૂરી છે. તો જ આદીવાસી વિસ્તારના બાળકોના શિક્ષણ નું સ્તર સુધરશે . આઇ એ એસ ડૉ. ધવલ પટેલ નો રિપોર્ટ આદીવાસી વિસ્તાર ની શાળાઓ માટે દીવાદાંડી રુપ બની રહેશે. તેમ છોટા ઉદેપુર જીલ્લા શાળા સંચાલક મંડળ ના અઘ્યક્ષ રમેશભાઇ ખત્રી એ જણાવ્યું હતું.