છોટાઉદેપુર, ચારણ એસ વી :-
છોટાઉદેપુર જિલ્લાના મતદારોમાં મતદાન અંગે જાગૃત્તિ વધે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી અનિલ ધામેલિયાના માર્ગદર્શન હેઠળ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આર.બી.ચૌધરી તથા સ્વીપના નોડલ અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રી આનંદકુમાર પરમાર દ્વારા મતદાર જાગૃતિ અર્થે અભિનવ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી -૨૦૨૨ માં જે મતદાન મથક પર ૫૦ ટકાથી ઓછું મતદાન થયુ હોય અથવા જ્યાં પુરુષ સ્ત્રી મતદાન ટકાવારીનો તફાવત ૧૦ ટકાથી વધુ હોય તેવા મતદાન મથકો પર નાવ પાઠશાળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અન્વયે અછાલા મતદાન મથક ખાતે ચુનાવ પાઠશાળા યોજાઈ હતી. જેમાં તાલુકા સ્વીપ નોડલ અમિતકુમાર પ્રજાપતી અને બી.એલ.ઓ. એ લોકોને મતનું મહત્વ સમજાવીને મતદાન અંગે જાગૃત કર્યા હતા. કાર્યક્રમના અંતે સૌએ અચૂક મતદાન કરવાના શપથ લીધા હતા.
આ કાર્યક્રમમાં આરોગ્ય કર્મચારી, આંગણવાડી સૂપરવાઈઝર, શાળાના આચાર્ય, આશા વર્કર બહેનો, તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.