ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-
ત્રણ ગામોના ૪૩ વર્ષો જૂના, જમીન સિંચાઇ યોજનાના અસરગ્રસ્ત ગામોના ખેડૂતોને જમીનના હુકમ અને જમીનના ગામ નમૂના નંબર ૭નો વિતરણ કાર્યક્રમ યોજાયો
આજરોજ પંચમહાલ જિલ્લાના છબનપુર સ્થિત ખોડીયાર માતા મંદિર,હોલ ખાતે ગોધરા ધારાસભ્યશ્રી સી.કે.રાઉલજી,જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમાર,સ્ટેમ્પ ડયુટી કલેકટરશ્રી ફાલ્ગુન પંચાલ અને મહાનુભાવોની ઉપસ્થિતીમાં ખેડૂતોને પુનઃવસવાટની જમીનના હુકમો એનાયત કરાયા હતા.
ત્રણ ગામોના ૪૩ વર્ષો જૂના જમીન સિંચાઇ યોજનાના અસરગ્રસ્ત ગામોના ખેડૂતોને જમીનના હુકમ અને જમીનના ગામ નમૂના નંબર ૭નો વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
પંચમહાલ જિલ્લાના હડફ, કબુતરી અને અદલવાડા સિંચાઇ યોજના અંતર્ગત ગોધરા તાલુકાના છબનપુર, સામલી (કાલીયાવાવ) અને વાવડી ખૂર્દના કુલ ૨૯૭ અસરગ્રસ્ત ખેડૂતો પૈકી ૧૮૨ ખેડૂતોને જમીનના હુકમ અને ગામ નમૂના નંબર ૭ને મહાનુભાવોના હસ્તે વિતરણ કરાયા હતા.જેમાં છબનપુરના ૮૯,સામલી (કાલીયાવાવ)ના ૮૬ અને વાવડી ખૂર્દના ૦૭ ખેડૂતોનો સમાવેશ થાય છે. હવે પછી બાકી રહેતા ૧૧૫ ખેડૂતોને ટૂંક સમયમા તેમના હુકમ અને નમૂના નબર ૭ વિતરણ કરવામાં આવશે.
આજના આ કાર્યક્રમમાં ગોધરા ધારાસભ્યશ્રી સી.કે.રાઉલજીએ જિલ્લા વહીવટી તંત્રની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે,વર્ષો જૂના જમીન સ્થળાંતર પ્રશ્નના હુકમ અને ગામ નમૂના નબર ૭ની આજે ફાળવણી થતા ખેડૂતોના ચેહરા પર ખુશી જોઈ શકાય છે.ફોરેસ્ટ વિભાગના કાયદા પ્રમાણે જમીનને બદલે જમીન ફાળવણી કરીને ખેડૂતોના હક્કો સુનિશ્ચિત કરી શક્યા છીએ.૪૩ વર્ષ જૂના આ પ્રશ્નનો નિરાકરણ આવતા વિસ્તારના ખેડૂતો સરકારશ્રીની તમામ યોજનાઓનો લાભ મેળવી શકશે.
આ તકે જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમારે જણાવ્યું કે,તમામ વિભાગોના સંકલન અને સહિયારા પ્રયત્નો થકી જિલ્લા વહીવટી તંત્ર વધુમાં વધુ ખેડૂતોને મદદરૂપ થઈ શકે તે મુજબના પ્રયાસો કરીને જમીન ફાળવણીના પડતર પ્રશ્નનો નિકાલ કરાયો છે.હવે પછી ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ સહિત સરકારી યોજનાઓ અને
બેંક દ્વારા આપવામાં આવતી તમામ સહાયનો લાભ મેળવી શકશે.આ સાથે તેમણે કહ્યું કે, બાકી રહેતા ખેડૂતોના પ્રશ્નોનું ટૂંક સમયમાં નિરાકરણ લાવવામાં આવશે.
આજના આ કાર્યક્રમમાં પાનમ સિંચાઇ યોજનાનાશ્રી પંચાલ,સબંધિત અધિકારીશ્રી,તલાટીશ્રી,સરપંચશ્રી સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.